India Iran relations: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા સૈન્ય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત માટે એક મોટી સફળતા મળી છે. 46,650 મેટ્રિક ટન LPG (રાંધણ ગેસ) લઈને આવતું ભારતીય જહાજ 'ગ્રીન સાનવી' શનિવારે વિશ્વના સૌથી જોખમી ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. આ ઘટનાને ભારતની વિદેશ નીતિ અને મજબૂત દ્વિપક્ષીય સંબંધોના વિજય તરીકે જોવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીએ ગણાવ્યો રાજદ્વારી વિજય
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાક્રમ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ભારત માટે એક મોટો રાજદ્વારી વિજય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ભારતીય જહાજોનો સુરક્ષિત માર્ગ એ આપણી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો પુરાવો છે. ખાસ કરીને ગુજરાત અને ઈરાન વચ્ચેના સદીઓ જૂના સંબંધો આ સંકટ સમયે કામ લાગી રહ્યા છે.
One more ship. One more victory for Indian diplomacy.
— Harsh Sanghavi (@sanghaviharsh) April 4, 2026
LPG carrier Green Sanvi has crossed the Strait of Hormuz and is on its way home to India.
ઈરાનનો પ્રતિસાદ: "ચિંતાની કોઈ જરૂર નથી"
મુંબઈમાં ઈરાનના કોન્સ્યુલેટ જનરલે હર્ષ સંઘવીની ટિપ્પણીનો અત્યંત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા તેમણે જણાવ્યું કે, "ભારત અને ખાસ કરીને ગુજરાતનો ઈરાન સાથે સહિયારો ઇતિહાસ છે. સદીઓ પહેલા ઈરાનથી આવતા લોકોનું જે રીતે ગુજરાતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તે સંબંધો આજે પણ મજબૂત છે. અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથમાં છે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી."
નૌકાદળની સતર્કતા અને સુરક્ષિત જહાજો
કેન્દ્ર સરકાર અને ભારતીય નૌકાદળ આ વિસ્તારમાં હાજર તમામ ભારતીય જહાજો પર નજીકથી નજર રાખી રહ્યા છે. બંદરો અને શિપિંગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે પુષ્ટિ કરી છે કે પર્સિયન ગલ્ફમાં અત્યારે કુલ ૧૮ ભારતીય જહાજો અને આશરે ૪૮૫ ખલાસીઓ હાજર છે, જેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સંઘર્ષ શરૂ થયા બાદ 'ગ્રીન સાનવી' એ આ માર્ગ પરથી પસાર થનારું સાતમું LPG ટેન્કર છે. અગાઉ શિવાલિક, નંદા દેવી, જગ લડકી, પાઇન ગેસ, જગ વસંત, BW ટાયર અને BW એલ્મ જેવા જહાજો પણ સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે.
ભારત માટે LPG ની મોટી રાહત
વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે ભારતીય જહાજોનું સુરક્ષિત આગમન દેશની ઉર્જા સુરક્ષા માટે નિર્ણાયક છે. અગાઉ ૨૮ માર્ચે જહાજ 'જગ વસંત' ગુજરાતના વાડીનાર ટર્મિનલ પર ૪૭,૦૦૦ મેટ્રીક ટન LPG પહોંચાડવામાં સફળ રહ્યું હતું. ઈરાન દ્વારા ભારત જેવા મિત્ર રાષ્ટ્રોને સુરક્ષિત માર્ગ આપવાની ખાતરીથી આવનારા દિવસોમાં પણ ઈંધણનો પુરવઠો જળવાઈ રહેશે તેવી આશા છે.
