West Bengal Congress Elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલા રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો પલટો આવ્યો છે. નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક બાદ પક્ષે સ્પષ્ટ કર્યું છે કે તે આ વખતે કોઈ પણ ગઠબંધન વિના સ્વતંત્ર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ નિર્ણયને પશ્ચિમ બંગાળમાં 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીના સવાલ અને નિર્ણાયક વળાંક
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી આંતરિક બેઠકમાં બંગાળના પ્રભારી ગુલામ અહેમદ મીર અને પ્રદેશ પ્રમુખ શુભંકર સરકાર હાજર હતા. જ્યારે રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી ગઠબંધન માટે કોઈ પ્રસ્તાવ આવ્યો છે? ત્યારે નેતાઓએ નકારાત્મક જવાબ આપ્યો હતો. જેના પર રાહુલ ગાંધીએ સ્પષ્ટ લહેજામાં કહ્યું, "તો પછી તમે શેની રાહ જોઈ રહ્યા છો?" આ વિધાનને પક્ષ દ્વારા એકલા લડવાના ગ્રીન સિગ્નલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
કેમ લેવાયો આ નિર્ણય?
કોંગ્રેસના મહાસચિવ ગુલામ અહેમદ મીરે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગઠબંધન કરવાના પ્રયોગો પક્ષ માટે નકારાત્મક સાબિત થયા છે.
- કાર્યકરોનું મનોબળ: ગઠબંધનને કારણે પાયાના સ્તરે કોંગ્રેસના કાર્યકરો નબળા પડ્યા હતા અને પક્ષની પોતાની ઓળખ જોખમમાં મુકાઈ હતી.
- ડાબેરીઓ સાથેનો અનુભવ: પક્ષના કેટલાક નેતાઓએ એવી ફરિયાદ પણ કરી હતી કે ગઠબંધનમાં ડાબેરી પક્ષો કોંગ્રેસના સંસાધનોનો લાભ લે છે, પરંતુ પાયાના સ્તરે મતોનું ટ્રાન્સફર કોંગ્રેસના ઉમેદવારોને થતું નથી.
લક્ષ્ય: 5% થી 20% મત શેર
હાલમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનો મત શેર લગભગ 5% ની આસપાસ છે, જેને આગામી ચૂંટણીમાં વધારીને 20% સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પક્ષના આંતરિક આકલન મુજબ, જો કોંગ્રેસ મજબૂત રીતે લડે તો 65 જેટલી બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે અને 25 થી 30 બેઠકો જીતવાની ક્ષમતા ધરાવે છે.
અધીર રંજન ચૌધરીની પ્રતિક્રિયા
અગાઉ ડાબેરીઓ સાથે ગઠબંધનના હિમાયતી રહેલા અધીર રંજન ચૌધરીએ પણ હાઈકમાન્ડના આ નિર્ણયને સ્વીકારી લીધો છે. તેમણે કહ્યું કે, "પક્ષના હાઈકમાન્ડે લીધેલા નિર્ણય મુજબ અમે આ વખતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડીને સંગઠનને મજબૂત કરીશું." પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અગાઉ એકલા લડવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે હવે કોંગ્રેસના આ નિર્ણયથી બંગાળમાં ભાજપ, TMC અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે.
