Crime News: ગીરસોમનાથ જિલ્લાના ઉનામાં એક પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉનાના દાંડી ગામમાં એક પરિણીતા પોતાના પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને 22 દિવસ પહેલા લગ્ન કરેલી પરીણિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે મામલે મૃતક પરીણિતાના ભાઈએ બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પરીણિતાના પતિએ માનસિક ત્રાસ ગુજાર્યો
પ્રાપ્ત માહિતી મુજબ ઉનાના દેલવાડા ગામના મુકેશભાઈ કરશનભાઈ સોલંકીએ પોતાની મોટી દીકરી પ્રગનાના વિવાહ 22 ફેબ્રુઆરીના રોજ ઉનાના દાંડી ગામના રહેવાસી કમલેશભાઈ સામતભાઈ મજીઠીયા સાથે કરાવ્યા હતા. યુવતીના લગ્ન બાદ તેના પિતા મુકેશભાઈની તબિયત સારી નહોતી રહેતી, જેથી પરીણિતા પ્રગના પિયરમાં રોકાવા આવી હતી. ત્યાર પછી 3 દિવસ પહેલા કમલેશ આવ્યો હતો. તેણે પરીણિતા સાથે ઝઘડો કરીને કહ્યુ્ં તું મને ગમતી નથી અને પરીણિતા પર શંકા કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.
કંટાળીને પરીણિતાએ આપઘાત કર્યો
પરિણીતાના લગ્નને હજુ માંડ 22 દિવસ જ થયા હતા. પરીણિતા પ્રગના તેના સાસરી દાંડી ગઈ. તેમ છતાં તેનો પતિ કમલેશે પત્ની પ્રગના પર માનસિક ત્રાસ ગુજારવાનું ચાલું રાખ્યું હતું. તેણે તેની પત્નીને કહ્યું કે, તુ મરી જા તારા જેવી બીજી ઘણી છોકરીઓ મને મળી જશે. જે વાતનું પરીણિતા પ્રગનાને લાગી આવ્યું હતું. પોતાના પતિની વાત લાગી આવતા પ્રગનાએ શનિવારે રાત્રે સાસરીયામાં રુમમાં ગળે ફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હતો. સાસરિયાઓએ યુવતીના મોતની જાણ પિયર પક્ષને કરી નહી,તેને ઉના સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
પરિણીતાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી
જ્યારે આ ઘટનાની જાણ પરિણીતાના ભાઈને થઈ ત્યારે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. ફરજ પર હાજર ડોક્ટરે પરિણીતાને મૃત જાહેર કરી હતી. પરિણીતાના ભાઈ મયુર મુકેશ સોલંકીએ નવા બંદર મરીન પોલીસમાં બનેવી કમલેશ વિરુદ્ધ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે આરોપી પતિની અટકાયત કરીને વધુની તપાસ હાથ ધરી છે.
