ગીર સોમનાથ મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. આમ આદમી પાર્ટી (AAP) ને 30થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં ભળી જતાં આપને મોટો ફટકો લાગ્યો છે. જ્યાં બાજી બાજુ કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો છે. વેરાવળ-પાટણ પંથકના 'આપ' ના પાયાના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય સમીકરણો બદલાયા છે.
સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર
AAPના વેરાવળ-પાટણ શહેરના સહ-પ્રભારી પ્રકાશ વાયલું,ભોય સમાજના અગ્રણી રવિ વાઘેલા તેમજ પાટણ દલિત હાડી સમાજના પ્રમુખ ભાવેશ ચુડાસમા સાથે તેમના 30થી વધારે કાર્યકરોએ આપનો સાથ છોડી કોંગ્રેસમાં જતા રહ્યા છે. સામૂહિક પક્ષ પલટાથી ગીર સોમનાથના સ્થાનિક રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.
ધારાસભ્યે હર્ષ વ્યક્ત કર્યો
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું, લોકો હવે માત્ર ખાલી વાયદાઓથી ભ્રમિત થવાને બદલે સચોટ અને નક્કર કાર્યો અને સેવાને મહત્વ આપે છે. તેમણે આગળ ઉમેર્યું કે, આપના પાયાના કાર્યકરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો એ સાબિત કરે છે કે લોકોનો વિશ્વાસ કોંગ્રેસની વિચારધારા પર ફરી વરસી રહ્યો છે.
કોંગ્રેસનો રાજકીય અને વ્યૂહાત્મક વિજય
રાજકીય પંડિતોના મતાનુસાર, આ પક્ષ પલટો ગીર સોમનાથ જિલ્લામાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.બીજી બાજુ, કોંગ્રેસ માટે આ વિજય વ્યૂહાત્મક છે. પક્ષ પરિવર્તન બાદ ગીર સોમનાથના રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે.
