Valsad: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજ ગામ, કચીગામ અને કલગામ- 3 તથા પારડી તાલુકાના ડુંગરી- 2, પલસાણા, સરોધી તથા ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ, રાજપુરી જંગલ, ગડી, સાદડવેરા સહિત કુલ 17 આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) એટલે કે, રાષ્ટ્રીય ગુણવત્તાની ખાતરી ધોરણોનું રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. જે બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે.
ગત ડિસેમ્બર માસ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની ટીમ આરોગ્ય ક્ષેત્રે વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના 17 જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વિવિધ સર્વિસ પેકેજ જેવા કે, સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા,
કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્ય સેવાઓ, સામાન્ય બિમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્યને સંબંધિત સેવાઓ
માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વ્યકિતઓ માટે ઉંમર સંલગ્ન સારવાર તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે સાથે કાર્યક્રમો તથા જનરલ એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સને લગતી વિવિધ બાબતો તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમજ દર્દીને કેવી રીતે સારવાર આપવામાં આવે છે, દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે કેમ, અધિકારી અને કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, સરકારના નિયમ મુજબ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી.
આ તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ ઉમરગામ તાલુકાના (1) કલગામ-3 આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર)ને 85.96 ટકા, (2) કચીગામને 83.03 ટકા (3) કરજ ગામના સેન્ટરને 85.03 ટકા, (4) અચ્છારી 81.93 ટકા, (5) બોરલાઈ 84.94 ટકા, (6) કાલઈ 76.12 ટકા, (7) નારગોલ-1 ને 85.89 ટકા, ધરમપુરના (8) રાજપુરી તલાટ સેન્ટરને 85.77 ટકા, (9) રાજપુરી જંગલ 87.53 ટકા, પારડીના (10) ડુંગરી-2 સેન્ટરને 84.22 ટકા,
(11) સરોધી 85.53 ટકા, (12) પલસાણા 85.71 ટકા, (13) ટુંકવાડા 83.36 ટકા, (14) રોહિણા-2 83.29 ટકા અને ધરમપુરના (15) ગડી 84.26 ટકા, (16) સાદડવેરા આયુષ્યમાન આરોગ્ય મંદિરને 85.97 ટકા અને કપરાડા તાલુકાના (17) માતુનિયા સેન્ટરને 78.16 ટકા સાથે એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન બદલ ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘ તેમજ સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કર્મીઓને અભિનંદન પાઠવ્યામાં આવ્યા હતા.
