Loading...

વલસાડમાં CM પટેલે કર્યું 'શ્રી ઓધવ ભવન'નું લોકાર્પણ, કચ્છી ભાનુશાલી સમાજના ગુપ્તદાનની કરી પ્રશંસા

કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા શ્રી ઓધવ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 22 Mar 2026 04:45 PM (IST)Updated: Sun 22 Mar 2026 04:45 PM (IST)
cm-patel-inaugurated-kutchhi-bhanushali-samaj-shri-odhav-bhavan-in-valsad-713129
HIGHLIGHTS
  • વલસાડની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ
  • શ્રી ઓધવ ભવનનું કર્યું ભવ્ય લોકાર્પણ
  • કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા નિર્માણ

Valsad Shri Odhav Bhavan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા નિર્મિત 'શ્રી ઓધવ ભવન'નું ભવ્ય લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ સદગુરુ ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવના પાવન અવસરે યોજવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે આકાશમાંથી હેલિકોપ્ટર મારફતે કેસરી ગુલાલ અને પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી.

કચ્છી ભાનુશાલી સમાજના ગુપ્તદાનની પ્રશંસા

CM ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ભાનુશાલી સમાજની ગુપ્ત દાનની મહાન પરંપરાના ખુલ્લા મને વખાણ કર્યા હતા. તેમણે ખાસ નોંધ્યું કે, આટલા વિશાળ અને ભવ્ય ભવનના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન મળ્યું હોવા છતાં, ભવનમાં ક્યાંય કોઈ દાતાની તકતી જોવા ન મળી. આ બાબત દર્શાવે છે કે સમાજે પ્રાચીન દાન પરંપરાને સાચા અર્થમાં સાર્થક કરી છે.

વડાપ્રધાનના ૯ સંકલ્પોને અપનાવવા અપીલ 

વધુમાં, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' મંત્રનો ઉલ્લેખ કરીને સામાજિક સમરસતા પર વિશેષ ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા 9 સંકલ્પોની પણ યાદ અપાવી હતી. 

મુખ્યમંત્રીએ લોકોને પાણી બચાવવા, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અપનાવવા, સ્વચ્છતા જાળવવા, વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જેવા મહત્વના મુદ્દાને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ સંકલ્પો થકી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા તેમણે અપીલ કરી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ 

આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પણ પોતાના પ્રવચનમાં કચ્છી ભાનુશાલી સમાજની દેશભક્તિ અને ખુમારીની ભરપૂર પ્રશંસા કરી હતી.