Vadodara Police Command Center: વડોદરા શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ સઘન અને આધુનિક બનાવવા માટે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.
નેત્રમ 'City Level Command & Control Centre' નું ઉદ્ઘાટન 📍
— Harsh Sanghavi (@sanghaviharsh) March 21, 2026
પોલીસ ભવન, વડોદરા https://t.co/40TqjWcLlr
વડોદરાની મુલાકાતે ડે. CM હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે. તેઓ વડોદરામાં આશરે ₹511 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડોદરાની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન પહોંચ્યા હતા. અહીં DGP કે. એલ. એન. રાવ અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે તેમનું સ્વાગત કર્યું હતું.

સ્માર્ટ પોલીસિંગ-નેત્રમ પ્રોજેક્ટની પહેલ
ગુજરાત પોલીસના 'સ્માર્ટ પોલીસિંગ' અભિગમ અંતર્ગત 'નેત્રમ પ્રોજેક્ટ' હેઠળ આ અત્યાધુનિક સિટી લેવલનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પોલીસ ભવનના સાતમા માળે તૈયાર કરવામાં આવ્યું છે. અહીંથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ક્રાઈમ ડિટેક્શન અને મહત્વના તહેવારોમાં પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી શકાશે.

ડે. CM હર્ષ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર
આ કાર્યક્રમની શરૂઆતમાં શહેર પોલીસની એક ટુકડી દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, અને ત્યારબાદ મહાનુભાવોના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા પોલીસ કમિશનરે સિટી પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઉપલબ્ધ સંસાધનો અંગે વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરી હતી.

ટેકનોલોજી થકી સુરક્ષા-ટ્રાફિક મેનેજમેન્ટ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખુદ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. જે દરમિયાન અહીં CCTV કેમેરા નેટવર્ક દ્વારા વડોદરા શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન પર કેવી રીતે ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે, તેની રસપ્રદ જાણકારી તેમણે મેળવી હતી.

આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ
આ સમગ્ર નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ અને મહત્તમ ઉપયોગ કરવા માટે ખાસ સૂચન કર્યું હતું. કાર્યક્રમના અંતે, નાયબ મુખ્યમંત્રીએ વિઝીટ બુકમાં પોતાની નોંધ લખીને શહેર પોલીસ કમિશનરને સુપરત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બપોરે પોલો ગ્રાઉન્ડ સામે નવનિર્મિત ચેરિટી ભવનનું ઉદ્ઘાટન કરશે. અંદાજે ₹4.12 કરોડના ખર્ચે બનેલું આ ભવન ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટોની વહીવટી કામગીરીમાં વેગ લાવશે. આ આધુનિક બિલ્ડિંગમાં તમામ જરૂરી સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી નાગરિકોને સરકારી કામકાજમાં સરળતા રહે.
