Vadodara: અટલાદરા BAPS મંદિરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: સંતોએ પણ વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગાસન

વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ. આ કાર્યક્રમમાં સંતોએ વિદ્યાર્થીઓ સાથે યોગાસન કરીને સ્વાસ્થ્ય અને સંસ્કારના સમન્વયનો સંદેશ આપ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 11:48 AM (IST)Updated: Sun, 21 Jun 2026 11:48 AM (IST)
vadodara-baps-atladara-temple-celebrates-12th-international-yoga-day

International Yoga Day 2026: આજે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં'12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2015થી શરૂ થયેલી આ વૈશ્વિક પરંપરાના ભાગરૂપે વડોદરાના અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે એક દિવ્ય અને પ્રેરણાદાયી વાતાવરણમાં યોગ દિવસ સંપન્ન થયો હતો. આજના કાર્યક્રમમાં સંતોની વિશેષ ઉપસ્થિતિ અને તેમની સક્રિય ભાગીદારી આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

Atladara Yoga Day Celebration1

સંતો અને વિદ્યાર્થીઓનો અનોખો યોગ-સંગમ

મંદિરના પવિત્ર પરિસરમાં વહેલી સવારથી જ શાંતિ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે, પૂજ્ય સંતોએ માત્ર બાળકોને માર્ગદર્શન જ ન આપ્યું, પરંતુ પોતે પણ વિદ્યાર્થીઓ સાથે નીચે બેસીને અત્યંત સહજતાથી વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. સામાન્ય રીતે ભક્તિમાર્ગનું માર્ગદર્શન આપતા સંતોને યોગાસન કરતા જોઈને ઉપસ્થિત સેંકડો હરિભક્તો અને વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અભિભૂત થઈ ગયા હતા. સંતોના આ સક્રિય યોગાભ્યાસે બાળકોમાં ભારે ઉત્સાહનો સંચાર કર્યો હતો. તેમને શીખ મળી હતી કે તંદુરસ્ત શરીર અને શાંત મન માટે યોગ એ જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો હોવો જોઈએ.

Atladara Yoga Day Celebration

યોગ: સ્વાસ્થ્ય અને સંસ્કારનો સમન્વય

કાર્યક્રમ દરમિયાન યોગના માધ્યમથી શરીર, મન અને આત્માની શુદ્ધિના મહત્વ પર સંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંતોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, "સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે રીતે સત્સંગ દ્વારા આત્માનું કલ્યાણ થાય છે, તેવી જ રીતે નિયમિત યોગ દ્વારા શરીર અને મનનું સંતુલન જળવાય છે. આપણે યોગને માત્ર એક દિવસની કસરત નહીં, પણ તેને આપણા દૈનિક જીવનનો એક ભાગ બનાવવો જોઈએ."

Atladara Yoga Day Celebration4

સ્થાનિક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે યોગાસનો રજૂ કરી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમે માત્ર શારીરિક સ્વાસ્થ્યનો સંદેશ જ નથી આપ્યો, પરંતુ નવી પેઢીને ભારતીય પ્રાચીન સંસ્કૃતિના વારસા અને સંતોની પ્રેરક જીવનશૈલી સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અંતે, સહુ ઉપસ્થિતોએ તંદુરસ્ત અને વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો, જેની સાથે આ ભવ્ય યોગ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.