Vadodara: વડોદરા જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં પરિવહન માટે અતિ મહત્વના ગણાતા દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ રહેલો જૂનો ગંભીરા બ્રિજ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
ગત જુલાઈ મહિનામાં વડોદરાથી આણંદ જિલ્લા સહિત સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરના બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 13 લોકો મોતને ભેટવા સાથે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે બ્રિજની સલામતી અને જાળવણી પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા હતા.
હાલ જૂના બ્રિજના તૂટી ગયેલા ભાગ પર મજબૂત સ્ટીલનું માળખું મૂકવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સ્ટીલનું સ્ટ્રક્ચર એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી બ્રિજ વધારે મજબૂત અને સુરક્ષિત બની શકે. આ સિવાય બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
કુશળ એન્જિનિયરો અને કામદારોની ટીમ ખડેપગે
એક તરફ જૂના બ્રિજને પુનઃ કાર્યરત કરવાના પ્રયાસો તેજ છે, તો બીજી તરફ નવા ગંભીરા બ્રિજની કામગીરી પણ પુરજોશમાં આગળ વધી રહી છે. જેના માટે એન્જિનિયરો અને કામદારોની ટીમ દિવસ-રાત મહેનત કરી રહી છે. આટલું જ નહીં, બ્રિજના દરેક તકનીકી પાસાની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ જોખમ ઉભુ ના થાય.
આ મહિનામાં જ બ્રિજને વાહન વ્યહાર માટે ખુલ્લો મૂકાઈ શક છે. જે સ્થાનિકો ઉપરાંત વાહન ચાલકો માટે મોટી રાહત સમાન છે. એવામાં સૌની નજર ફેબ્રુઆરી મહિનાના જૂના ગંભીરા બ્રિજના પુનઃ પ્રારંભ પર ટકેલી છે. જેથી વડોદરા-આણંદ માર્ગ પર ફરીથી સરળતાથી અવરજવર શક્ય બની શકે.
