Loading...

Surendranagar: ચોટીલા વહીવટી તંત્રની લાલઆંખ, 19 ખનીજ માફિયા તડિપાર

માફિયાઓ પરપ્રાંતીય અને સ્થાનિક મજૂરોને ઓક્સિજનની અછત અને ઝેરી વાયુઓ વચ્ચે કોઈપણ સુરક્ષા સાધનો વિના 160 ફૂટ ઊંડા કુવાઓમાં ઉતારી તેમના જીવ જોખમમાં મૂકતા હતા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 27 Mar 2026 09:09 PM (IST)Updated: Fri 27 Mar 2026 09:09 PM (IST)
surendranagar-news-major-action-in-chotila-19-mining-mafia-banished-for-dangerous-rabbit-hole-mining-716770
HIGHLIGHTS
  • સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી માફિયાઓને હાંકી કઢાયા

Surendranagar: ચોટીલા અને મૂળી પંથકમાં લાંબા સમયથી ગેરકાયદેસર કોલસા ખનન દ્વારા આતંક મચાવનાર અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનાર 19 જેટલા ખનિજ માફિયાઓ વિરુદ્ધ ચોટીલા નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ઐતિહાસિક અને કડક કાર્યવાહી કરી છે.

આ તમામ 19 શખ્સોને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી 6 થી 9 માસ માટે તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.જીવલેણ ’રેબિટ હોલ’ માઇનિંગ અને વિસ્ફોટકોનો આતંક હોવાનું તપાસમાં બહાર આવ્યું છે કે, આ માફિયાઓ દ્વારા ચોટીલા સબ ડીવીઝન વિસ્તારમાં અંદાજે 160 ફૂટ ઊંડા ’રેબિટ હોલ’ (વર્ટીકલ કુવા) ગાળીને અત્યંત જોખમી રીતે ભૂગર્ભ ખનન કરવામાં આવતું હતું.

સુરક્ષાના કોઈપણ નિયમો વગર, સુપર પાવર-90 અને જીલેટીન જેવા ખતરનાક વિસ્ફોટકોનો ઉપયોગ કરી હોરીઝોન્ટલ સુરંગો બનાવવામાં આવતી હતી. આ પ્રચંડ વિસ્ફોટોને કારણે સ્થાનિક રહેણાંક મકાનો, શાળાઓ અને આંગણવાડીઓમાં તિરાડો પડી ગઈ હતી અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું હતું.

માફિયાઓ પરપ્રાંતીય અને સ્થાનિક મજૂરોને ઓક્સિજનની અછત અને ઝેરી વાયુઓ વચ્ચે કોઈપણ સુરક્ષા સાધનો વિના 160 ફૂટ ઊંડા કુવાઓમાં ઉતારી તેમના જીવ જોખમમાં મૂકતા હતા. ભૂતકાળમાં આવી ખાણોમાં અનેક મજૂરો અને પશુઓના મોતની ઘટનાઓ પણ બની ચૂકી છે.

એટલું જ નહીં, દરોડા પાડવા જતી ટીમને રોકવા માટે રસ્તામાં કાંટા અને પથ્થરની આડશ ઉભી કરવી તેમજ અધિકારીઓને ડરાવવા માટે ટોળાં એકઠા કરી ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભું કરવાની પ્રવૃત્તિઓ પણ આ માફિયાઓ દ્વારા કરવામાં આવતી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર (મૂળી) અને નાયબ પોલીસ અધીક્ષક (સુરેન્દ્રનગર) ની દરખાસ્ત અને સુનાવણીના અંતે, જનહિત અને જાહેર સુરક્ષાને ધ્યાને રાખીને 19 શખ્સોને તડીપાર કર્યા છે. વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ખનિજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નાયબ કલેકટરે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેર મિલકત અને માનવ જિંદગી સાથે ચેડા કરનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં.