Loading...

સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગ દ્વારા સઘન તપાસ, નિયમ વિરુદ્ધ કામગીરી કરનાર સામે પગલાં લેવાશે

એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી તેમજ સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 12 Mar 2026 11:22 AM (IST)Updated: Thu 12 Mar 2026 11:22 AM (IST)
surendranagar-news-surprise-inspection-on-gas-agencies-strict-action-warned-706882

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરના સંકલન સાથે સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સંબંધિત તાલુકાના મામલતદારઓ અને ફિલ્ડ સ્ટાફની બનેલી વિશેષ ટીમોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી ગેસ એજન્સીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી તેમજ સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાના હેતુથી કરવામાં આવેલી આ તપાસમાં ખાસ કરીને ડોમેસ્ટિક એટલે કે ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે નાગરિકોને મળી રહે તે માટે એજન્સી સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. દરેક એજન્સીએ નિયત પૂરતો સ્ટોક જાળવવો અને નિયમ મુજબ તેનું વિતરણ કરવું અનિવાર્ય છે. જો કોઈ પણ કક્ષાએ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોના હિત માટે અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સતત સતર્ક છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે જેથી સામાન્ય જનતાના હકોનું રક્ષણ કરી શકાય.