ચૈત્રી પૂનમના પાવન અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાના ચરણોમાં માથું નમાવવા માટે ભક્તનું ઘોડાપુર ઉમટ્યું છે. અંદાજિત દોઢ લાખથી વધારે ભક્તોએ માતાના દર્શન કરીને ધન્ય બન્યા છે.
પદયાત્રીઓ માતાના દર્શને પહોંચ્યા
ચોટીલા ડુંગર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વના લીધે અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતથી હજારોની સંખ્યામાં માઈભક્તો ચોટીલા પહોંચી રહ્યા છે. વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર પદયાત્રીઓ પદયાત્રા કરીને માતાના થાનકે પહોંચી રહ્યા છે. જ્યારે પદાયાત્રા કરતા લોકો માટે સેવાભાવી સંસ્થાઓ અને યુવા સંગઠનો દ્વારા 150થી વધારે સેવા કેમ્પ શરુ કરાયા છે.
ભક્તો માટે 24 કલાક સેવા
સેવા કેમ્પોમાં પદયાત્રીઓ માટે 24 કલાક ચા-નાસ્તો,ભોજન અને ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. થાકેલા પદયાત્રીઓ માટે આરામની સુવિધા તેમજ મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.
ડુંગર પર પદયાત્રીઓ માટે વ્યવસ્થા
મહંત પરિવારના વસંતગીરીબાપુના જણાવ્યા મુજબ, ભક્તોની ભારે ભીડને ધ્યાને રાખીને પૂનમના દિવસે 24 કલાક પ્રસાદની વ્યવસ્થા ચાલુ રખાઈ છે. તપતી ગરમીને લીધે તળેટીથી ડુંગર સુધીના માર્ગ પર લીલી તાડપત્રી બાંધીને છાંયો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને ચઢાણ વખતે રાહત મેળવી શકે. સાથે જ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
