Sabarkantha News: ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા ગાડી વાકડા ગામમાં અંધશ્રદ્ધાના લીધે ગ્રામજનોએ એક મહિલાને ડાકણ સમજી લીધી હતી. ટોળાથી પત્નીને બચાવવાના પ્રયાસમાં મહિલાના પતિ મનુભાઈ ડામોરે પોતાનો જીવ ગુમાવ્યો. ગામમાં એવી અફવા ફેલાઈ હતી કે, મૃતકની પત્ની કમલાબેન ડાકણ છે. ત્યારબાદ તેમના પર જીવલેણ હુમલો થયો હતો.
ગામલોકોમાં ડાકણની અફવા ફેલાઈ
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ગાડી વાકડા ગામમાં, પોતાની પત્નીને લોકોના ટોળાથી બચાવવાના પ્રયાસમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. આ જીવલેણ અથડામણ ત્યારે થઈ હતી.જ્યારે અફવા ફેલાઈ કે, ત્યાંની સ્થાનિક રહેવાસી કમલાબેન એક ચુડેલ છે.
મહિલાને ગામ છોડવાનો આદેશ
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના ત્યારે બની. જ્યારે ગ્રામજનોનું ટોળું એકત્ર થયું અન તેઓએ મનુભાઈ રામજીભાઈ ડામોર અને તેમની પત્નીને તેમનો સામાન સમેટીને ગામ છોડી દેવાનો આદેશ આપ્યો હતો,.
પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ. જ્યારે ટોળું કમલાબેન પર હુમલો કરવા ઘર તરફ વળ્યું. તેમણે ઘર પર પથ્થરમારો કર્યો અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોતાના જીવને જોખમમાં મૂકીને મનુભાઈ અને તેમના બાળકો હુમલાખોરોથી કમલાબેનને બચાવવા માટે આગળ આવ્યા.
હુમલામાં, ગામલોકોએ પરિવાર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો, જેથી પરિવારે પણ મહિલાને બચાવવાની કોશિશમાં લોકો પર પલટવાર કર્યો હતો.
હુમલામાં મહિલાના પતિનું મોત
આ અથડામણમાં મનુભાઈના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું મોત થયું હતું. જયારે તેમના પરિવારના બે અન્ય સભ્યો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા મનુભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. પરંતુ તબીબોએ પહોંતતા જ મૃત જાહેર કર્યા હતા.
12 લોકો સામે પોલીસ કેસ
ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ નાઈએ જણાવ્યું કે, આ હત્યા અંગે ગામના 12 રહેવાસીઓ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે નામ આપેલા શંકાસ્પદોમાં આઠ પુરુષો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ કથિત રીતે ટોળાનો ભાગ હતા. સ્થાનિક પોલીસ ટીમોએ આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી વ્યક્તિઓને શોધવા અને ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
