નરેન્દ્ર આહીર, Rajkot Suicide: સોમનાથ વેરાવળમાં રહેતાં સોની વેપારીએ રાજકોટનાં રૈયા રોડ પર કૈલાસધારા પાર્ક પાસે આવેલ દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટના 10માં માળે રહેતાં ફુવાના ઘરની ગેલેરીમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વેરાવળના સોની વેપારીને તેના ભાગીદાર સાથે બે કરોડની ઉઘરાણી બાબતે ડખ્ખો ચાલતો હતો. ભાગીદાર બે કરોડની ઉઘરાણી માટે સતત દબાણ કરતો હોવાથી બે દિવસ પૂર્વે સોની વેપારી ગુમ થયા બાદ રાજકોટ ફુવાના ઘરે આવ્યો હતો. તેના પિતા સહિતના પરિવારજનો તેને લેવા આવ્યા ત્યારે જ તેણે આ પગલું ભરીલેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
રાજકોટનાં રૈયા રોડ પર કૈલાસધારા પાર્ક પાસે દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં 10માં માળે રહેતાં મનદીપભાઈ અરૂણભાઈ ચરાડવાના ઘરે આવેલા સોમનાથ વેરાવળના વતની સોની વેપારી મિત અંકિત માંડલીયાએ દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા પોલીસ રેણુકાબેન ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
ભાગીદારની દગાબાજીથી વેપારી યુવક ડિપ્રેશનમાં સરી પડ્યો હતો
આ મામલે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે, વેરાવળમાં રહેતાં અને સોના-ચાંદીનું કામ કરતો મીત અંકીત માંડલીયા બે દિવસ પૂર્વે વેરાવળથી ગુમ થયો હતો. તેના ભાગીદાર ધાર્મિક હરેશ જોશી દ્વારા તેની પાસે ફ્રોડ અને વ્યાજના પૈસાની રૂા.2 કરોડની ઉઘરાણી બાબતે દબાણ કરતાં તે વેરાવળથી ઘર છોડી ભાગી ગયો હતો અને રાજકોટમાં રૈયા રોડ પર કૈલાસધારા પાર્ક પાસે આવેલ દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટના 10 માળે રહેતાં તેના ફુવા મનદીપભાઈ અરૂણભાઈ ચરાડવાના ઘરે આવ્યો હતો.
ગઈકાલે સાંજે અચાનક જ મીતે 10માં માળે આવેલી ગેલેરીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે સોની પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પુત્ર ગુમ થવા અંગે સોની પરિવારે વેરાવળમાં પોલીસને જાણ કરી હતી. ભાગીદાર સાથે બે કરોડની ઉઘરાણી બાબતે ચાલતાં ઝઘડાથી મીત ડિપ્રેશનમાં આવી ગયો હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું.
આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા વેરાવળમાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. સોની પરિવારનો 21 વર્ષનો પુત્ર મિતના અવસાનથી પરિવાર ઉપર વજ્રઘાત તુટી પડયો હતો.
