Rajkot: શહેરની ભાગોળે આવેલા જામનગર રોડ, ઘંટેશ્વર, 25 વારીયા પાસે 15 દિવસ પૂર્વે ટ્રેન હેઠળ પડતું મૂકી એઈમ્સના છાત્રને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા પાંચ સાથી છાત્રને અદાલતે જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે.
રાજસ્થાનના જેસલમેરના વતની અને એઈમ્સમાં MBBSના છાત્ર રતનકુમાર મોહનલાલ મેઘવાલ ગત 13 માર્ચે રાજસ્થાનથી રાજકોટ આવ્યો હતો અને 14 માર્ચની વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પૂર્વે યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર 18 પેજની સુસાઈડ નોટ મૂકી હતી, જેમાં સાથે અભ્યાસ કરતા સહપાઠીઓ દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સુસાઈડ નોટમાં સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે, મૃતક યુવાને પોતાની વ્યથામાં સાથી વિદ્યાર્થીઓના ત્રાસને જ અંતિમ પગલું ભરવાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. જેના આધારે મૃતકના પિતા મોહનલાલ મેઘવાલે પ્રણવ મોહન પાલીવાલ (રહે. રાજસ્થાન),અસ્મિત રાકેશ શર્મા (રહે. રાજસ્થાન), આયુશ સુરેશનંદન યાદવ (રહે. ભરૂચ), નિર્વિધ્નમ નુર વિનોદકુમાર યાદવ (રહે.હરીયાણા) અને યુવરાજ રાજારામ ચૌધરી (રહે. રાજસ્થાન)વિરુદ્ધ મરવા મજબૂર તથા એટ્રોસીટી એકટની કલમ-3 મુજબની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પોલીસે પાંચ આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા પાંચ શખ્સોએ આરોપીઓએ જામીન અરજીઓ દાખલ કરી હતી.એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોનહાર વિદ્યાર્થીઓને જેલમાં રાખી શકાય નહી. તે સંદર્ભેના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ કેસોના સંલગીત ચુકાદાઓ ટાંકી આરોપીઓને જામીન મુકત કરવા વિસ્તૃત પણે દલીલો કરી હતી.
મૂળ ફરીયાદીની દલીલમાં આરોપીઓએ છાત્રા સાથેના સંબંધ બાબતે માર મારેલ અને તે બાબતનો વીડિયો ઉતારી બધાને મોકલતા મરણજનાર ડીપ્રેશનમાં આવીને પગલું ભર્યાનું રજૂઆત કરી જામીન અરજી નામંજુર કરવા દલીલો કરી હતી.
બન્ને પક્ષકારોની દલીલોના અંતે સેસન્સ અદાલત દ્વારા આરોપીના એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો ગ્રાહય રાખી અદાલતે વિસ્તૃત ચુકાદામાં ઠરાવેલુ કે, FIR, સ્યુસાઈડ નોટ અને પોલીસના તમામ દસ્તાવેજો ધ્યાને લેતા મરણજનારને સાઈકલોજીકલ તકલીફ હોવાનુ જણાય છે.
આરોપીઓને આવા આક્ષેપોના આધારે વિશેષ સમય જેલમાં રાખી શકાય નહી તેમ ઠરાવી તમામ આરોપીઓને તપાસમાં સહકાર આપવા અને દેશ બહાર ન જવાની શરતે જામીન પર મુકત કરવા આદેશ ફરમાવેલ હતો.
