Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોની આગામી તા.26ના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા પુર્ણ કરી લીધી છે અને આમ આદમી પાર્ટીએ બીજુ લિસ્ટ પણ જાહેર કરી દીધું છે. એવામાં કોંગ્રેસે પણ જે નેતાઓની ટિકિટ પાક્કી છે તેવા 20 મી વધુ ઉમેદવારોને ટિકિટ માટે ટેલિફોનિક કન્ફોર્મેશન આપી ચૂંટણી પ્રચારમાં લાગી જવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે
રાજકોટમાં નવ યુવાનોને તક આપવાની વચ્ચે કોંગ્રેસે પ્રથમ રાઉન્ડમાં જૂના જોગીઓ ઉપર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, સંજય અજુડીયા, રણજીત મુંધવા, નયનાબા જાડેજા તેમજ વશરામ સાગઠીયા જેવા જુના જોગીઓને ટિકિટ માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને ચુંટણી પ્રચારમાં લાગી જવા જણાવાયું છે.
કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જે બેઠકો પર વિવાદ કે મડાગાંઠ છે તેવી બેઠકો પર પેનલ તૈયાર થઇ શકી નથી. આવી વિવાદાસ્પદ બેઠકો માટે આજે પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની હાજરીમાં બેઠકોનો દોર હાથ ધરાયો છે.
આ બેઠકોમાં જે બેઠક પર એક સરખા સમીકરણો ધરાવતા મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા છે, તેવી બેઠકો પર નિર્ણય લેવાશે. શનિવારે હાથ ધરાનારી બેઠકોમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને 5 એપ્રિલે ઉમેદવારો જાહેર કરાશે. તેની વચ્ચે રાજકોટમાં કોંગ્રેસે જૂના જોગીઓને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. જેમાં 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ભાજપ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને પ્રદેશ કક્ષાએ યાદી મોકલી દેવામાં આવશે. જેમાં કોંગ્રેસ આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરશે જયારે ભાજપ આગામી 9 તારીખે પ્રથમ યાદી જાહેર કરે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.'
