Loading...

Porbandar: માધવપુર મેળાનો ગરીમામય પ્રારંભ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના 540 કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી

મૂળ દ્વારકાથી હર્ષદ માતાના મંદિર સુધીનો 11 કિમી લાંબો બીચ ડેવલપ કરવામાં આવશે. આ વિકાસના કાર્યો માત્ર સંસ્કૃતિને જ ઉજાગર નથી કરતા, પરંતુ નવી ઈકોનોમી અને રોજગારીનું પણ સર્જન કરે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 27 Mar 2026 10:40 PM (IST)Updated: Fri 27 Mar 2026 10:47 PM (IST)
porbandar-news-madhavpur-fair-2026-begins-grandly-with-540-artists-performances-716814
HIGHLIGHTS
  • મેળાઓ સાંસ્કૃતિક વિરાસતની જાળવવા સાથે નવી રોજગારીઓનુ સર્જન કરે છે: અર્જુન મોઢવાડિયા
  • માધવપુર વિવિધતામાં અકેતાનો સંદેશ આપે છે: કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. માંડવીયા

Porbandar: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મહાનુભાવોના હસ્તે માધવપુર ઘેડ મેળાનો શુભારંભ થયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોનો ગરીમામય રીતે પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ માધવપુરવાસીઓ તેમજ મેળામાં ઉપસ્થિત રહેલા તમામ લોકોને મેળાના ઉદ્ઘાટન પ્રસંગે શુભકામના પાઠવી હતી. મંત્રીએ આ અવસરે દ્વારકાથી સોમનાથ વચ્ચેના દરિયાઈ પટ્ટી પર આવેલા ધાર્મિક, આધ્યાત્મિક, પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધતાને બિરદાવી હતી.

તેમણે આ તકે જણાવ્યું હતું કે, સદીઓથી પરંપરાગત રીતે ઉજવાતો માધવપુરનો મેળો ગુજરાતના લોકજીવનના સાંસ્કૃતિક ધબકારને જીવંત રાખવાનું ઉત્તમ માધ્યમ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીજીના લગ્ન પ્રસંગને યાદ કરતા આ મેળામાં લોકો શ્રદ્ધા અને ઉમંગથી જોડાય છે.

ઉત્તર-પૂર્વીય રાજ્યના રુક્મિણીજી અને પશ્ચિમ ભારતના શ્રીકૃષ્ણનો આ મેળા દ્વારા થતો સાંસ્કૃતિક મિલાપ રાષ્ટ્રીય એકતાનું અનોખું પ્રતીક છે. વર્ષ ૨૦૧૮થી આ મેળાને જે રાષ્ટ્રીય સ્તરનું નવું સ્વરૂપ મળ્યું છે, તેનાથી પ્રવાસન અને સ્થાનિક રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે.

વિકાસ અને આસ્થાનો સંગમ એવા દ્વારકા અને સોમનાથની અર્થવ્યવસ્થા બદલાઈ રહી છે. આ બંને આધ્યાત્મિક કેન્દ્રોની બરોબર વચ્ચે આવેલું માધવપુર પણ હવે વિકાસના પંથે હોવાનું જણાવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ સંઘવીના નેતૃત્વમાં આ સમગ્ર પટ્ટો ધમધમતો થવાનો છે, માધવપુરમાં અનેક પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે. જેમાં કર્લી મોકર સાગર ખાતે આશરે 200 કરોડના ખર્ચે પક્ષી અભયારણ્ય અને પોરબંદર પાસે રંગબાઈ માતાના મંદિર નજીક 25 કરોડના ખર્ચે સાંસ્કૃતિક વન તૈયાર થઈ રહ્યું છે. પોરબંદરમાં સુદામા મંદિર અને કીર્તિ મંદિર જેવા અનેક પ્રકલ્પો તૈયાર થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

મૂળ દ્વારકાથી હર્ષદ માતાના મંદિર સુધીનો 11 કિલોમીટર લાંબો બીચ ડેવલપ કરવામાં આવશે. આ વિકાસના કાર્યો માત્ર સંસ્કૃતિને જ ઉજાગર નથી કરતા, પરંતુ નવી ઈકોનોમી અને રોજગારીનું પણ સર્જન કરે છે. બરડા ડુંગરમાં લાયન સેન્ચુરી પણ આકાર લઈ રહી છે, જેનાથી આ વિસ્તારમાં પ્રવાસન વધશે. જ્યારે આ તમામ પ્રકલ્પો પૂર્ણ થશે ત્યારે માધવપુર વિશ્વના નકશા પર અંકિત થશે.

જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ અને કચ્છનું રણોત્સવ વિશ્વના નકશા પર પોતાની આગવી ઓળખ બનતા સ્થાનિક રોજગારી અને અર્થવ્યવસ્થાનું કેન્દ્ર બન્યા છે તેમ માધવપુર પણ આગામી સમયમાં લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વિકાસથી સ્થાનિક યુવાનોને પોતાના વિસ્તારમાં જ રોજગારીની તકો પ્રાપ્ત થશે, જે આ વિસ્તારના સર્વાંગી ઉત્થાન માટે પાયારૂપ સાબિત થશે.

આ તકે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયાએ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તમામ લોકોને વિડિયો સંદેશ દ્વારા શુભકામના પાઠવી હતી.
કેન્દ્રીય મંત્રીએ આ અવસરે ભગવાનશ્રી કૃષ્ણ-માતા રુક્મિણી તેમજ મહાત્મા ગાંધીજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, માધવપુર મેળો એ માત્ર એક આયોજન નથી પણ જીવંત પરંપરા છે. આ તે ઉત્સવ છે જ્યાં ઇતિહાસ શ્વાસ લે છે, જ્યાં આસ્થા ટપકે છે અને જ્યાં ભારત પોતાની આત્માના સૌથી સુંદર સ્વરૂપમાં આપણને દેખાય છે.

અહીં ભારતે પહેલીવાર પોતાની વિવિધતાને એકતામાં ફેરવીને વિશ્વને એક સંદેશ આપ્યો હતો. એક બાજુ દ્વારકાની ધરતી અને બીજી બાજુ ઉત્તર પૂર્વની પરંપરાઓ. એક બાજુ સમુદ્રની લહેરો અને બીજી બાજુ પર્વતોની સંસ્કૃતિ તેમ છતાં સંસ્કૃતિના માધ્યમથી આપણે એક તાંતણે બંધાયા છે જે વિકાસભી અને વિરાસતભી ની ભાવનાને સાર્થક કરે છે.

આ મેળામાં અરુણાચલ પ્રદેશની ઉર્જા, મણિપુરનો લય આસામની સુગંધ અને મેઘાલયની મધુરતા ગુજરાતની ધરતી પર ઉતરે છે ત્યારે તે માત્ર સાંસ્કૃતિક પ્રસુતિ નથી તે એક અનુભવ હોય છે તે એક લાગણી હોય છે કે આપણે ખરેખર એક જ પરિવાર છીએ આજ ભાવના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને જીવન આપે છે.

PM મોદીના નેતૃત્વમાં આજે ભારત પોતાના મૂળિયા સાથે જોડાઈને આગળ વધી રહ્યું છે આપણી વિરાસત હવે માત્ર ભૂતકાળની વાત નથી રહી પરંતુ ભવિષ્યની શક્તિ બની રહી છે માધવપુર મેળો તેનું જીવંત ઉદાહરણ છે સાથીઓ ભારતની સાચી તાકાત તેની વિવિધતામાં નથી પરંતુ તે વિવિધતાને સ્વીકારવાની ભાવનામાં છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ જણાવ્યું કે, PM મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. માધવપુરનો મેળો હવે માત્ર પ્રાદેશિક કે સ્થાનિક મેળો રહ્યો નથી, પરંતુ તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે.

આ મેળો પૂર્વ અને પશ્ચિમના રાજ્યોના સાંસ્કૃતિક સંગમનું જીવંત ઉદાહરણ છે, જેમાં પૂર્વોત્તર રાજ્યોના ૨૭૦ કલાકારો અને ગુજરાતના ૨૭૦ કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વની રાજ્ય સરકાર માધવપુરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને વર્ષ 2018થી આ મેળાને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે અને રુ.47 કરોડના ખર્ચે રૂક્ષ્મણીજી મંદિર, ચોરી માયરા અને બીચ ડેવલપમેન્ટ જેવા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં, ફેઝ-૨ અંતર્ગત માધવરાય મંદિરના વિકાસ માટે આશરે રુ.43 કરોડના ખર્ચે માધવપુરની કાયાપલટ કરવાનું આયોજન છે. આ મેળો આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાની સાથે રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવે છે.