Patan: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલી એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.
બારીમાંથી જોતા વિદ્યાર્થીની લાશ પંખા સાથે લટકતી હતી
વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના જલોઢા ગામમાં રહેતો મહેન્દ્ર સુથાર (23) નામનો વિદ્યાર્થી સિદ્ધપુરની હોસ્ટેલમાં રહીને ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
આ પણ વાંચો
ગઈકાલે મહેન્દ્ર હોસ્ટેલના બીજા માળે આવેલ પોતાના રૂમમાં એકલો હતો, ત્યારે તેણે પોતાના મફલરને પંખા સાથે બાંધીને ફંદો બનાવીને ગળેફાસો ખાઈ લીધો હતો. થોડીવાર બાદ તેનો રૂમ પાર્ટનર આવ્યો અને દરવાજો ખખડાવ્યો અને બૂમો પણ પાડી, પરંતુ મહેન્દ્રએ દરવાજો ખોલ્યો નહતો.
આખરે હોસ્ટેલના સંચાલકોને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. જેમણે રૂમની બારીમાંથી અંદર નજર નાંખતા વિદ્યાર્થી પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળતા સિદ્ધપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી સિદ્ધપુર પોલીસે રૂમનો દરવાજો તોડીને વિદ્યાર્થીને નીચે ઉતાર્યો હતો. જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ મોકલી આપ્યો છે. હજુ સુધી વિદ્યાર્થીએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું, તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તેના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
