Anandiben Patel: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હરિદ્વારમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સમાજ અને પરિવાર માટે અત્યંત મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને વાલીઓને પોતાના સંતાનો, ખાસ કરીને દીકરીઓના બદલાતા વર્તન પર નજર રાખવા અને સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ભલે કથાઓમાં આવી વાતો ન થતી હોય, પણ વર્તમાન સમયમાં સામાજિક સુરક્ષા અને સંસ્કારોનું રક્ષણ કરવું એ જ સાચી કથા છે.
'શંકા નહીં પણ સાવચેતી રાખો'
આનંદીબેન પટેલે વાલીઓને સંબોધતા એક ખૂબ જ વ્યવહારુ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, "જો તમારી 8-10 વર્ષની દીકરી અત્યાર સુધી તમારી બાજુમાં બેસીને મામા, કાકા કે મિત્રો સાથે ફોન પર વાત કરતી હોય, પણ અચાનક તે ફોન આવતા જ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરે વાત કરવાનું શરૂ કરી દે, તો તમારે સાવધ થઈ જવું જોઈએ. આમાં શંકા નથી પણ સાવચેતી છે." તેમણે વાલીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતાના સંતાનોના મિત્ર વર્તુળ પર નજર રાખે, કારણ કે મિત્રો મિત્રોમાં ઘણો ફરક હોય છે. સંતાનો ઘરમાંથી કે શાળામાંથી ભટકી ન જાય તે જોવાની જવાબદારી બહેનો અને વાલીઓની છે.

ચૂંટણી ખર્ચ અને કાર્યકર્તાઓનું મહત્વ
પોતાના રાજકીય અનુભવો વાગોળતા આનંદીબેન પટેલે ગુજરાત અને ઉત્તર પ્રદેશના ચૂંટણી ખર્ચ વચ્ચેનો મોટો તફાવત રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "જ્યારે હું ગુજરાતમાં ચૂંટણી લડતી ત્યારે મારો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ રહેતો હતો, જ્યારે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે."
તેમણે ઉમેર્યું કે ઘાટલોડિયા જેવી બેઠકો પર તો ખર્ચ એટલો ઓછો થતો કે કલેક્ટર પણ તે આંકડો માનવા તૈયાર ન થતા. આ ઓછા ખર્ચનું રહસ્ય સમજાવતા તેમણે કહ્યું કે, "રહસ્ય માત્ર કાર્યકર્તાઓ છે. જો તમે કાર્યકર્તાઓને પ્રેમ આપો, તેમના સુખ-દુઃખમાં સહભાગી થાઓ અને તેમના પરિવાર સાથે મિલન સમારંભ ગોઠવો, તો તમારે ચૂંટણીમાં ખોટા ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. માત્ર મતો લઈને 'રામ-રામ' કરી લેવા તે યોગ્ય પદ્ધતિ નથી."

ગુજરાતમાં ભાજપની સફળતાનું મૂળ
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપના શાસન પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, તેના મૂળમાં સંસ્કાર, વિશ્વાસ, અવિરત પરિશ્રમ અને દેશભક્તિ છે. આ તમામ પરિબળોનો સરવાળો આજે ગુજરાતના વિકાસમાં જોવા મળે છે. તેમણે સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોના કઠોર પરિશ્રમને આ સફળતાનો જશ આપ્યો હતો.
