Loading...

Panchmahal: ખેરના લાકડાની તસ્કરી કેસમાં EDની મોટી કાર્યવાહી, ગોધરામાં રૂ. 11.3 કરોડની મિલકત ટાંચમાં લીધી

વન વિભાગની મંજૂરી વિના જંગલમાંથી ખેરના વૃક્ષોને ગેરકાયદેસર કાપી નાંખ્યા હતા. જે બાદ પંચમહાલ ઉપરાંત વ્યારા, નવસારી, તાપી અને નર્મદા જિલ્લામાં તેની તસ્કરી કરવામાં આવી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 23 Jan 2026 10:27 PM (IST)Updated: Fri 23 Jan 2026 10:27 PM (IST)
panchmahal-news-ed-seizes-assets-worth-%e0%aa%b0%e0%ab%82-11-3-crore-in-gujarat-khair-wood-smuggling-scam-678825
HIGHLIGHTS
  • ગોધરાના મુસ્તાક આદમ તાસીયા અને મોહમ્મદ તાહિર સહિતના આરોપીઓની સંડોવણી

Panchmahal: ગુજરાતમાં ખેરના લાકડાની ગેરકાયદે કાપણી અને તસ્કરીના મોટા કૌભાંડ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી કુલ રૂ. 11.3 કરોડની કિંમત ધરાવતી 14 અચલ સંપત્તિઓ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે.

EDની તપાસ મુજબ, આ કેસમાં ગોધરાના મુસ્તાક આદમ તાસીયા અને મોહમ્મદ તાહિર અહમદ હુસૈન સહિત અન્ય આરોપીઓ સામેલ હતા. આરોપીઓએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવેલા જંગલ વિસ્તારોમાંથી વન વિભાગની કોઈપણ પૂર્વ મંજૂરી વિના ખેરના વૃક્ષોની ગેરકાયદે કાપણી કરી હતી. ખાસ કરીને પંચમહાલ, તાપી, વ્યારા, નવસારી અને નર્મદા જેવા જિલ્લાઓમાં વ્યાપક પ્રમાણમાં ખેરના લાકડાની કાપણી કરીને તેની તસ્કરી કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે, ગેરકાયદે કાપણી કરાયેલ ખેરનું લાકડું ગુજરાતના સરહદી વિસ્તારો સુધી લઈ જઈને વેચવામાં આવતું હતું. આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિમાંથી આરોપીઓએ કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તે પૈસાથી ગોધરા સહિતના વિસ્તારોમાં અચલ મિલ્કતોમાં રોકાણ કરવામાં આવ્યું હતું. EDએ આ તમામ મિલ્કતોને ‘અપરાધથી પ્રાપ્ત આવક’ ગણાવીને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલાની શરૂઆત સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જના વન અધિકારી દ્વારા નોંધાયેલી ફરિયાદ પરથી થઈ હતી. આ ફરિયાદના આધારે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ હવે મની લોન્ડરિંગ અટકાવવાના કાયદા હેઠળ ED દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી સામે થયેલી આ મોટી કાર્યવાહીને વન સંપત્તિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ આ કાર્યવાહીથી વન સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વોને કડક સંદેશો મળ્યો છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સરકાર અને તપાસ એજન્સીઓ કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવાની નથી.