Banaskantha, RTE Admission 2026-27: ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા ‘મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009’ (RTE) ની કલમ 12(1)સી અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 માં 25 ટકા અનામત બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વિનુભાઈ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જે બાળકોએ 1લી જૂન, 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય, તેઓ આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે પાત્ર ઠરે છે. આ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે.
વાલીઓએ આગામી તારીખ 4 એપ્રિલ, 2026 થી 17 એપ્રિલ, 2026 દરમિયાન સત્તાવાર વેબસાઇટ www.rte.orpgujarat.com પર જઈને અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પુરાવા અને અન્ય ટેકનિકલ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લા કક્ષાએ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીઓના માર્ગદર્શન અને સહાયતા માટે 'નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, કૈલાશ મંદિર પાસે, બેચરપુરા' ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
કોઈપણ પ્રકારની મૂંઝવણ કે માહિતી માટે વાલીઓ કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી શકે છે અથવા હેલ્પલાઇન નંબર 02742-253189 પર ફોન કરી શકે છે. વધુમાં, જરૂર જણાય તો નોડલ અધિકારી ડૉ. એસ. ડી. જોષી (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બનાસકાંઠા-પાલનપુર) નો પણ સંપર્ક કરી શકાશે.
