Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં યુવકનો ગુરુવારના રોજ વીરપુર આશ્રમ ખાતે નજીકના ખેતરમાં હાથ-પગ બાંધેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે મોતનું ભેદ ઉકેલાઈ ગયો છે. મળતી વિગતો મુજબ, મૃતકે પ્રેમ લગ્ન કર્યા બાદ સાસરીયાઓ તરફના સસરા સહિત 5 શખ્સોના માનસિક ત્રાસથી મોતને વહાલુ કર્યું હોવાનું સામે આવ્યુ છે. મૃતકની બહેને 5 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધાવ્યો હતો.
બહેને પોલીસ ફરિયાદ કરી
પાલનપુરમાં યુવાને જાતે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ઘટના અંગે તાલુકા પોલીસ મથકના પી.આઇ. એચ. બી. ધાંધલીયા મુજબ, મૃતક યુવાન રવિ માળીની બહેન પુજાબેન ભરતભાઇ પરમારે શુક્રવારે સાંજે FIR નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, યુવાન રવિ માળીએ 4 વર્ષ અગાઉ કિંજલ રાવલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે સંબંધ કિંજલના પરિવારને પસંદ ન હોવાથી તેઓ સતત છૂટાછેડા માટે માનસિક દબાણ કરી રહ્યા હતા.
પાંચ લોકો પર દુષ્પ્રેરણાનો આક્ષેપ
યુવાનના સસરા ભરત નવીનચંદ્ર રાવલ, પ્રિતેશ સંજય રાવલ, સાળો પ્રિયંક ભરત રાવલ, અમદાવાદના રહેવાસી હેલી રાવલ અને તેના પતિ વૈદાંશ રાવલ દ્વારા રવિને ધમકી અને દબાણ આપ્યું હોવાનું ખુલ્યું હતું. ઘટનાની રાત્રે પણ યુવક રવિએ તેના પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. જેંમાં તેણે કહ્યું કે, તે લોકો સતત માનસિક હેરાન કરી રહ્યા છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે.
વીડિયોમાં યુવકે વર્ણવી વ્યથા
મૃતકના યુવાનના મોબાઈલમાંથી ઘટના બાદ એક વીડિયો મળ્યો હતો. યુવકે રવિએ વીડિયોમાં તેના પર થતા દબાણ અને માનસિક ત્રાસને લઈને સ્પષ્ટ ઉલ્લેખ કરીને મોતને વહાલું કરી લીધું હતું. યુવાનની બહેનની ફરિયાદને આધારે 5 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.તેમજ તેમની ધરપકડ કરાશે.
યુવક જાતે દોરડું ખરીદી લાવ્યો
યુવકનો મૃતદેહ હાથ-પગ બાંધેલી હાલતમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં મળતા હત્યા કે આપઘાતની સ્પષ્ટતા થતી નહોતી, પોલીસની ટીમ દ્વારા છેલ્લા 48 કલાક દરમિયાન સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ સહિતની મદદથી તપાસ શરુ કરી હતી.જેમાં યુવક દ્વારા દોરડુ ખરીદ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તેણે જાતે જ પોતાના હાથ પગ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું ખુલ્યું હતું.
પત્ની પિયરમાં ચાલી ગઈ
મૃતક યુવક રવિ માળીએ બ્રહ્મ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હતા. સંતાનમાં યુવકને 3 વર્ષની પુત્રી છે. જોકે, પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર એપ્રિલ મહિનામાં ગાદલવાડા ગામના યુવકની હત્યા થઈ હતી, જે ગુનામાં યુવક રવિનું નામ આવતા પત્ની તેની પુત્રીને મૂકીને પિયરે ચાલી ગઈ હતી.જોકે, યુવકે આપઘાત કરી લેતા પુત્રી માથે પિતાની છત્રછાયા છીનવાઈ છે.
