Loading...

Narmada: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં GPCBનું ‘મિશન લાઈફ’: પવિત્ર પથ પરથી 1.01 ટન કચરો દૂર કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 'મિશન લાઈફ'અંતર્ગત પરિક્રમા રૂટ પર સફાઈ અને જનજાગૃતિનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શેરી નાટકો અને ઈકો-ફ્રેન્ડલી રિસ્ટબેન્ડથી શ્

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sat 04 Apr 2026 11:41 AM (IST)Updated: Sat 04 Apr 2026 11:41 AM (IST)
narmada-uttarvahini-parikrama-mission-life-gpcb-environment-awareness-721410
HIGHLIGHTS
  • GPCB દ્વારા પરિક્રમાના સમગ્ર રૂટ પર સફાઈ અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે.
  • ટીમ દ્વારા સમગ્ર રૂટ પર દર 2 કલાકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
  • પવિત્ર પથ પરથી ટીમે 1.01 ટન કચરો દૂર કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

Narmada News: નર્મદા મૈયાના કિનારે હાલમાં ચાલી રહેલી આસ્થાની પાવન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં આ વર્ષે ભક્તિની સાથે પર્યાવરણ સુરક્ષાનો પણ અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) દ્વારા 'મિશન લાઈફ' (LiFE - Lifestyle For Environment) અંતર્ગત પરિક્રમા રૂટ પર સફાઈ અને જનજાગૃતિનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

સ્વચ્છતા માટે 30 કર્મીઓની ટીમ ખડેપગે

રામપુરથી તિલકવાડા વચ્ચે યોજાયેલી આ પરિક્રમામાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આટલી મોટી માનવમેદની વચ્ચે પરિક્રમા પથની પવિત્રતા જળવાઈ રહે તે માટે GPCB દ્વારા આશરે 30 કર્મચારીઓની ખાસ ટીમ તેનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા સમગ્ર રૂટ પર દર 2 કલાકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ ટીમ દ્વારા દૈનિક સરેરાશ 1.01 ટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ

માત્ર સફાઈ જ નહીં, પરંતુ એકત્ર થયેલા કચરાના વ્યવસ્થાપન પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એકત્રિત કચરામાંથી રિસાયકલ થઈ શકે, તેવા પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓને અલગ પાડવામાં આવે છે. જ્યારે બાકીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે, જેથી નર્મદા નદી કે આસપાસના જંગલ વિસ્તારના પર્યાવરણને નુકસાન ન થાય.

અનોખી રીતે જનજાગૃતિ અભિયાન

શ્રદ્ધાળુઓ નદીમાં કચરો ન ફેંકે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂર રહે તે માટે G.P.C.B દ્વારા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે:

  • શેરી નાટકો: કલાકારો દ્વારા નાટકો ભજવીને શ્રદ્ધાળુઓને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.
  • ઈકો-ફ્રેન્ડલી રિસ્ટબેન્ડ: પ્લાસ્ટિકના બદલે પર્યાવરણને અનુકૂળ રિસ્ટબેન્ડનું વિતરણ કરીને સ્વચ્છતાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે.
  • બેનર અને હોર્ડિંગ્સ: આખા રૂટ પર માહિતીપ્રદ બોર્ડ લગાવીને ગંદકી ન કરવા વિનંતી કરવામાં આવી છે.

19 માર્ચથી શરૂ થયેલી અને 18 એપ્રિલ સુધી ચાલનારી આ પરિક્રમામાં GPCBની આ પહેલને શ્રદ્ધાળુઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી છે. આ અભિયાન સાબિત કરે છે કે ધાર્મિક આસ્થા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી એકસાથે નિભાવી શકાય છે.