Narmada News: નર્મદા જિલ્લાના ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ સભામાં ભાજપ-કોંગ્રેસના 1000થી વધુ લોકો AAPમાં જોડાયા. સાથે સાથે આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને AAPને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર સભાને સંબોધન કરતાં આદિવાસી સમાજના હક્કો, વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મુદ્દે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને પાર્ટી આદિવાસીઓના બંધારણીય અધિકારો અમલમાં મૂકવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના જે બંધારણીય અધિકારો વર્ષોથી કાગળ પર જ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની સરકાર બનતાં ચોક્કસ રીતે જમીન પર અમલમાં મૂકવામાં આવશે. સરકાર બનતાં જ Tribal Advisory Committee આદિવાસી સમાજની બનાવવામાં આવશે તેમજ વન અધિકાર કાયદા અંતર્ગત જે પણ લોકોના હક્કો બાકી છે તેમને તેમના હક્કો અપાશે. શિક્ષણ ક્ષેત્રે ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં અંદાજે 505 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેને આવનારા દિવસોમાં ભરવાનું કામ કરવામાં આવશે. ઉપરાંત, 181 ગામોમાં પ્રાથમિક શાળાઓ નથી, ત્યાં શાળાઓ શરૂ કરી બાળકોને શિક્ષણના અધિકાર આપવામાં આવશે. જિલ્લામાં 1200થી વધુ બાળકો કુપોષણથી પીડાય છે, જેને દૂર કરવા માટે ખાસ યોજના ઘડવામાં આવશે અને બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

યુવાનોના ભવિષ્ય અંગે વાત કરતાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી યુવાનો પોલીસ, IAS, IPS, ડોક્ટર અને શિક્ષક બને તે માટે આમ આદમી પાર્ટી સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ પોતાના પ્રચાર અને કાર્યક્રમો માટે કરે છે. આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવ્યા વગર આદિવાસી સમાજના પ્રશ્નો ઉકેલવા મુશ્કેલ છે. તેમણે 2027માં સમગ્ર ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સાંસદ મનસુખ વસાવાને આડેહાથ લેતા આપ નેતા ચૈતર વસાવાએ જાહેરમાં ચર્ચા અને ડિબેટ માટે તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં તેમણે અનેક વખત આદિવાસી સમાજના મુદ્દાઓ ઉઠાવ્યા છે, જ્યારે ભાજપના સાંસદે લોકસભામાં આદિવાસી સમાજ માટે શું કર્યું છે તે જનતા સામે સ્પષ્ટ થવું જોઈએ.

આવનારા દિવસોમાં કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ દેડિયાપાડા આવશે તેવી માહિતી મળી છે. આ મુદ્દે તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશ-વિદેશમાંથી કોઈ પણ નેતા આવે, તેમને કોઈ વાંધો નથી, કારણ કે આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું, લોકોને એક કરવાનું અને લોકોના હક્ક માટે સતત લડવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા હોય, રસ્તા હોય કે મેદાન જ્યાં પણ જરૂર પડે ત્યાં તેઓ જનતાની વાત ઊઠાવે છે, જે ભાજપ સરકારને પસંદ નથી. આ શક્તિ અને હિંમત માત્ર મારી વ્યક્તિગત નથી, પરંતુ મારી સાથે સરપંચો, જિલ્લા પ્રમુખો, ઉપપ્રમુખો, કાર્યકરો, યુવાનો, વડીલો તેમજ માતા-પિતાના આશીર્વાદ જોડાયેલા છે. આ જનસમર્થનના કારણે જ હું એટલી મોટી સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યો છે. મનરેગા સહિતના વિવિધ મુદ્દાઓમાં નામ બદલવાથી સત્ય બદલાતું નથી, એવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેનો જવાબ જનતા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપશે. તેમણે આદિવાસી સમાજના પરંપરાગત જંગલ અધિકારો અંગે સ્પષ્ટ કહ્યું કે આદિવાસી સમાજ આ જંગલમાં આદિ અનાદિ કાળથી વસે છે અને લાકડું, વાંસ તથા અન્ય જંગલ ઉપર પર તેમનો હક છે. આ મુદ્દે જંગલ ખાતાને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે આદિવાસીઓ પર અન્યાય થશે તો તેઓ રસ્તા પર ઉતરશે.
