Loading...

Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા આયોજિત સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026 યોજાયો

આજના ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 05 Apr 2026 09:38 PM (IST)Updated: Sun 05 Apr 2026 09:38 PM (IST)
saptarang-creators-fest-2026-organized-by-vishwa-samvad-kendra-gujarat-was-held-in-the-inspiring-presence-of-cm-bhupendra-patel-722338

Gandhinagar News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્જનાત્મક કાર્ય કરનાર કન્ટેન્ટ ક્રિએટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ડિજિટલ યુગની ક્રાંતિનું પરિણામ છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશે ડેટા રિવોલ્યુશનનો અનુભવ કર્યો છે. સોશિયલ મીડિયા આજે રમતગમત, સંસ્કૃતિ અને સમાજજીવન સાથે જોડાઈને વિશ્વ સાથે સંવાદ સ્થાપિત કરી રહ્યું છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા સર્જનાત્મકતા વૈશ્વિક સ્તરે પહોંચે છે. તેમણે કન્ટેન્ટ ક્રિએટરોને અપીલ કરી કે તેમના સર્જનમાં સમાજહિત અને રાષ્ટ્ર પ્રથમનો અભિગમ હોવો જોઈએ.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કન્ટેન્ટ ક્રિએટરો આજના યુગમાં “વન મેન આર્મી” સમાન છે. તેમની રચનાત્મકતા નવા વિચારોને પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક ભાષા તથા સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે લઈ જવાની શક્તિ ધરાવે છે. “વોકલ ફોર લોકલ” અભિયાનને મજબૂત બનાવવામાં પણ કન્ટેન્ટ ક્રિએટરો બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. સરકારે કન્ટેન્ટ કલ્ચર અને ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ટેલેન્ટ ડેવલપમેન્ટ માટે રૂ. 250 કરોડની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રીએ સૌને 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે “વિકસિત ગુજરાત”ના સંકલ્પને સાકાર બનાવવા સહભાગી થવા આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીના હસ્તે જાણીતા અભિનેતા હિતેન કુમાર, પ્રફુલ કેતકર, પ્રફુલ ગર્ગ, મીનાક્ષી શેરાવત, નિખિલ ચંદવાણી, કુશલ મિસ્ત્રી, વિશાલ પારેખ, માહી પટેલ, કુલદીપસિંહ ક્લેર, શિવાની શુક્લ, આર.જે. હર્ષિલ, મંગેશ પ્રજાપતિ અને જય ગજેરા સહિતના સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટાર અને રાઇઝિંગ કન્ટેન્ટ ક્રિએટર્સને પણ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સુનિલ આંબેડકરજી, પ્રાંત પ્રચારક તેજસ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સ ઉપસ્થિત રહ્યા હતા.