Loading...

શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જન્મદિવસ નિમિત્તે શ્રમિકોને ભોજન પીરસ્યું, 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' કેન્દ્રની મુલાકાત લીધી

આ મુલાકાત દરમિયાન મંત્રીએ શ્રમિકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને શ્રમિક પરિવારોને પૌષ્ટિક ભોજન પીરસીને યોજનાની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 16 Mar 2026 12:11 PM (IST)Updated: Mon 16 Mar 2026 12:11 PM (IST)
gujarat-state-minister-kunwarji-bavaliya-serves-food-to-workers-at-shramik-annapurna-yojana-centre-709075

Gandhinagar News: ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના સર્વાંગી કલ્યાણ અને સુખાકારી માટે કાર્યરત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત શ્રમિક પરિવારોને પૂરતું પોષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો અને તેમના પરિવારને સાદું, સાત્વિક અને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી આ યોજનાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.

જે અંતર્ગત ગુજરાત સરકારના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના 71 મા જન્મદિવસની ઉજવણી, આજે ગાંધીનગરમાં સેક્ટર - 6માં આવેલા કડિયા નાકા પાસેના શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પર જઈને, યોજનાના લાભાર્થીઓને પોતાના હાથે ગરમા ગરમ ભોજન પીરસીને કરી હતી.આ મુલાકાત દરમિયાન મંત્રીએ શ્રમિકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને શ્રમિક પરિવારોને પૌષ્ટિક ભોજન પીરસીને યોજનાની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું.

આ અવસરે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, બાંધકામ ક્ષેત્રે પરસેવો પાડતા શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકાર સંવેદનશીલ છે. આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર 5 રૂપિયાના રાહત દરે સાદું, સાત્વિક અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રમિકોના સ્વાસ્થ્યની જાળવણી માટે ભોજન કેન્દ્રોની સાથે જ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.

વધુમાં રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવા અંગે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે,હાલ સમગ્ર ગુજરાતમાં 293 જેટલા સેન્ટરો કાર્યરત છે.જ્યારે ટૂંક સમયમાં જ નવા 121 જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવશે.આ વર્ષના બજેટમાં વધુ 300 નવા કેન્દ્રો ખોલવાનું આયોજન છે, જેથી છેવાડાના શ્રમિક સુધી આ સુવિધા પહોંચી શકે.

આરોગ્ય અને સુખાકારી પર ભાર મુકતા મંત્રીએ મુલાકાત દરમિયાન મંત્રીએ સેન્ટર પર ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી. શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોના પરિવારોની હવામાન આધારિત સાર-સંભાળ અને વિશેષ કાળજી રાખવા માટે વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. ગાંધીનગરના ઘ-૨ કડિયાનાકા ખાતે મંત્રીની આ પ્રેરક ઉપસ્થિતિથી શ્રમિકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.