Devbhoomi Dwarka News: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ જામ ખંભાળિયા ખાતે રૂ.6.61 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી ડેપોના વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશ જ્યારે અભૂતપૂર્વ વિકાસ સાધી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નાગરિકોના સર્વાંગી કલ્યાણ માટે અનેકવિધ વિકાસ કાર્યો પ્રતિબદ્ધતા સાથે હાથ ધરવામાં આવી રહ્યા છે.
ભૂતકાળના સમયમાં જ્યારે યાતાયાત માધ્યમોમાં ન્યૂનતમ પ્રમાણમાં હતા ત્યારે વાહનવ્યવહાર નિગમ હસ્તકની બસો દ્વારા જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં જાહેર પરિવહનની સુવિધાની ન્યૂનતમ ઉપલબ્ધતાને પરિણામે નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં ભારે અગવડતા વેઠવી પડતી હતી. પરંતુ વડાપ્રધાનના વિઝનને સાકર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર જનસુખકારીના નવા આયામો સર કરી રહી છે.
વધુમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયમાં ટેક્નોલોજીના યુગમાં જેમ પરિવર્તન આવ્યું છે તેમ વાહનવ્યવહાર નિગમ દ્વારા સમય સાથે ચાલવા માટે નવીન એસટી બસોનું સંચાલન કરી જાહેર પરિવહન સુવિધાની કરોડરજ્જુ બન્યું છે.
હાલમાં રાજ્ય સરકારની જનકલ્યાણની નેમ સાથે મુસાફરો માટે મીની, સ્લીપર તેમજ વોલ્વો જેવી અદ્યતન બસોનું સંચાલન કરી મુસાફરોને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રામીણ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં સારામાં સારી ગુણવતાની બસોના સંચાલન થકી મુસાફરોમાં એસટી બસો પ્રત્યેનો વિશ્વાસ દૃઢ બન્યો છે.
વધુમાં પ્રભારીમંત્રીએ ઉમેર્યું હતું કે, દ્વારકાધીશ પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર પરિવહનનું માળખું વધુ સુદ્રઢ બને તે માટે પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. યાત્રિકો મુસાફરી માટે જાહેર પરિવહન પ્રત્યે વિશ્વાસ વધે વધુમાં વધુ જાહેર પરિવહન મહત્તમ ઉપયોગ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ સૂત્રને ખરા અર્થમાં જાહેર પરિવહનનું ઉત્તમ માધ્યમ બન્યું છે. આજરોજ ખંભાળિયા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવેલ વર્કશોપ પરિણામે બસોમાં ઉદભવતી યાંત્રિક ક્ષતિઓ અહીંયા જ દૂર થશે અને મુસાફરોની સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુ બેરા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિર્માણના માત્ર 13 વર્ષમાં જ વિકાસના આયામો સિદ્ધ કર્યા છે. માળખાગત પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિકાસની ગતિ તેજ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનકલ્યાણ માટે અનેક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર રહે છે.
જાહેર પરિવહનમાં એસટી બસો ગ્રામીણ વિસ્તારો માટે રોજબરોજના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. વિધાર્થીઓ, પત્રકારો, પેન્શનરો, રાજ્યના પારિતોષિક વિજેતા શિક્ષકો, દિવ્યાંગો સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જાહેર પરિવહનની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ક્ષેત્રો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સિંચાઈ, આરોગ્ય તેમજ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થતા નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ હેઠળ જામ ખંભાળિયા ખાતે રૂ.6.61 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર નવીન વર્કશોપ માં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, મેન્ટેનન્સ, ડિસ્પેન્સરી રૂમ, વોટર રૂમ, રેકોર્ડ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જામનગર એસ.ટી ના વિભાગીય નિયામક બી.સી.જાડેજા તેમજ આભારવિધિ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, અગ્રણી મયુર ગઢવી, રાજુ સેરસિયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, મિલન જોશી, સહિત એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
