Gandhinagar News: ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને કોબા સુધી લંબાવવાની અંગે આયોજન કરવામાં આવેલ છે. ગાંધીનગર મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીએ આ પ્રોજેક્ટ માટે ટીપી સ્કીમ-20માં સુધારો કરીને દરખાસ્તને સત્તાવાર મંજૂર કરી દીધી છે. જ્યારે આર્થિક નબળા વર્ગો માટે અનામત રખાયેલા આવાસના પ્લોટ અને અર્બન ફોરેસ્ટના હેતુ બદલીને ત્યાં હવે ફૂડ પ્લાઝા અને મનોરંજન પાર્ક બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવાઈ છે.
EWS આવાસની જગ્યામાં ફરવાલાયક સ્થળો બનશે
ગાંધીનગર મનપાની ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા ટીપી સ્કીમ-20માં સુધારો કરીને દરખાસ્તને ફેઝ 3 અંતર્ગત રિવરફન્ટને કોબા સુધી લંબાવી દેવાની સત્તાવાર મંજૂરી અપાઈ છે. નવા આયોજન મુજબ રિવરફ્રન્ટના માર્ગોના એલાઈનમેન્ટમાં ફેરફાર કરાયો છે. જે 18 મીટરના રસ્તાને બદલે હવે 12 મીટરના રસ્તાનું આયોજન કરી સામાજિક આંતરમાળખાની સુવિધાઓમાં વધારો કરવા ભાર મૂક્યો છે. જેમાં ખાસ કરીને અર્બન ફોરેસ્ટ અને EWS આવાસ માટે અનામત રખાયેલ પ્લોટના હેતુફેર કરીને લોકો માટે ફરવાલાયક સ્થળો વિકસાવાશે.
યોગ્ય માપણી વગર આપી દીધી મંજૂરી
મનપાએ રસ્તાના એલાઈનમેન્ટમાં કરેલા ફેરફારોને લીધે વર્ષોથી રહેતા લોકોના માથે વિસ્થાપનની તલવાર લટકે છે. 12 મીટરના રસ્તાનું આયોજન કરીને સાંકડી ગલીઓ ઊભી કરવાનો પ્રયાસ ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તેમજ ટીપી સ્કીમ-20ની હદમાં અસંગતતા હોવાનું તંત્ર દ્વારા સ્વીકાર કરાયો છે. તેમ છતા સરખી માપણી કર્યા વિના જ ઉતાવળુપણુ દર્શાવીને મંજૂરી આપી દીધી છે.
સરકારી જમીનો પર ખાનગી સુવિધાઓની તૈયારી
વધારે ખાલી જગ્યા વધારવાના દાવા તળે વાસ્તવમાં સરકારી જમીનો પર ખાનગી સુવિધાઓ ખડકવાની તૈયારી હાલ ચાલી રહી છે, તેમજ સાબરમતી નદીના પ્રવાહ અને તેની આસપાસના નિવસન તંત્રને સાઈકલ ટ્રેક એને કોંક્રીટના જંગલો બાંધીને નુકસાન પહોંચી શકે તો તેની ભરપાઈ આવનારા ભવિષ્યમાં અશક્ય બનશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
