Loading...

Gandhinagar: ગુજરાતમાં 'સુજલામ સુફલામ' યોજના હેઠળ 8 વર્ષમાં 13,994 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરાયો

સમગ્ર ગુજરાતમાં 'સુજલામ સુફલામ જળ અભિયાન'ની કામગીરી 21 ફેબ્રુઆરીથી કરવામાં આવશે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 05 Feb 2026 12:05 AM (IST)Updated: Thu 05 Feb 2026 12:05 AM (IST)
gandhinagar-news-gujarat-government-to-launch-sujalam-sufalam-jal-abhiyan-from-february-21-685966
HIGHLIGHTS
  • દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે

Gandhinagar: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં 'સુજલામ સુફલામ જળ અભિયાન' (Sujalam Sufalam Jal Abhiyan) ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વિગતો આપતાં સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે.

જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે 'સુજલામ સુફલામ જળ અભિયાન' હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અન્વયે વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં વહેલી શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત આગામી તા. 3 માર્ચના રોજ રોજ હોળી છે, જેથી શ્રમિકો તહેવારને લઈને વતન જતાં હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ અભિયાન વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વર્ષ 2018થી 2025 સુધી છેલ્લા 8 વર્ષમાં અંદાજે 13,994 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમજ 260 લાખ કરતાં વધુ માનવદિન થકી શ્રમિકોને રોજગારી આપવામાં આવી છે.