Gandhinagar News: ગુજરાત સરકાર બજાર સમિતિઓમાં કૃષિ પેદાશોનું વેચાણ સરળતાથી થઈ શકે તે માટે રિટેલ આઉટલેટ અને કૃષિ મોલ બનાવવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના અનુસાર, રાજ્યના ક અને ડ વર્ગની બજાર સમિતિઓમાં પહેલા એક રિટેઈલ આઉટલેટ કે કૃષિ મોલ બાંધવા માટેની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારનો નિર્ણય
બજાર સમિતિઓએ એક કરતાં વધુ બજાર સમિતિઓમાં કૃષિ મોલ અને રિટેલ આઉટલેટ બનાવવાની માંગણી કરાઈ હતી. જેને લઈને કૃષિ અને સહકાર વિભાગે એકને બદલે પાંચ ક અને ડ વર્ગની બજાર સમિતિઓમાં રિટેલ આઉટલેટ અને કૃષિ મોલ બાંધવાનું નક્કી કર્યું છે.
રાજય સરકારે યોજના મૂકી
કૃષિ પેદાશોના વેચાણ માટે અ અને બ વર્ગની બજાર સમિતિઓ માટે પણ વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ક અને ડ વર્ગની બજાર સમિતિઓમાં પણ કૃષિ પેદાશનું સીધું વેચાણ થાય માટે યોજનાને અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે આ વર્ષે ક અને ડ વર્ગની બજાર સમિતિ પૈકી કોઈ એક બજાર સમિતિને પસંદ કરીને એક બજાર સમિતિમાં કૃષિ મોલ કે રિટેલ આઉટલેટ બાંધવાનું નક્કી કર્યું હતું. જે માટે રાજ્ય સરકારે 2 કરોડની જોગવાઈ કરી છે.
કૃષિ મોલ અને રિટેલ આઉટલેટ બનાવાશે
ક વર્ગમાં સતત ત્રણ વર્ષ સુધી 50 લાખથી વધુ અને 75 લાખ સુધીનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બજાર સમિતિ, જ્યારે ડ વર્ગમાં 50 લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતી બજાર સમિતિ હોય છે. રાજ્ય સરકાર દ્વારા ક અને ડ વર્ગની બજાર સમિતિ પાસેથી અરજીઓ મગાવીને તે પૈકી કોઈ પાંચ બજાર સમિતિઓમાં પાઈલટ પ્રોજેકટ તરીકે રિટેલ આઉટલેટ કે કૃષિ મોલ બાંધવામાં આવશે.
