Botad: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આગામી 1 અને 2 એપ્રિલ, 2026 બે દિવસ દરમિયાન હનુમાન જયંતી નિમિત્તે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને સદગુરુ હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી યોજાઈ રહ્યો છે. વડતાલધામ ટેમ્પલ બોર્ડ, સંપ્રદાયના સંતો તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના સીધા માર્ગદર્શન હેઠળ આ મહોત્સવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો
આ 2 દિવસ દરમિયાન મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે.

ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે. આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા છે. તો મંદિર પરિસરની પાછળ અને શ્રી ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
'હનુમાન જયંતી'એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવાશે
હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે હનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા.
પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત 'શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ – 2026 અંતર્ગત
કીર્તન આરાધના:- 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય છે. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવશે. ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લઈ શકે છે.
હનુમાન જયંતીના બે દિવસના સંપૂર્ણ કાર્યક્રમની A To Z વિગતો
| તારીખ અને વાર | સમય | કાર્યક્રમનું નામ / વિગત | વિશેષતા |
| 01/04/2026, બુધવાર | સવારે 07:30 | રાજોપચાર પૂજન | 1008 કિલો પુષ્પોથી અભિષેક, પવિત્ર બ્રાહ્મણો અને હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા પૂજન. |
| 01/04/2026, બુધવાર | રાત્રે 08:00 | કિંગ ઓફ સાળંગપુર સમૂહ આરતી | Light & Sound Show, હજારો દીવડાઓથી આરતી અને ભવ્ય આતશબાજી. |
| 01/04/2026, બુધવાર | રાત્રે 09:00 | સત્સંગ લોકડાયરો | કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતની જમાવટ. |
| 02/04/2026, ગુરુવાર | સવારે 05:00 | મંગળા આરતી | હનુમાન જયંતીનો પ્રારંભ અને આતશબાજીથી દાદાનું સ્વાગત. |
| 02/04/2026, ગુરુવાર | સવારે 07:00 | શણગાર આરતી | શ્રી કષ્ટભંજન દેવના સુવર્ણ વાઘામાં દર્શન. |
| 02/04/2026, ગુરુવાર | સવારે 07:00 | વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ | 1000 થી વધુ ભક્તો સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમૂહ યજ્ઞ. |
| 02/04/2026, ગુરુવાર | સવારે 07:30 | ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ | 1,00,000 બલૂન ડ્રોપ, 151 કિલો કેક કટિંગ અને DJ ના તાલે ભક્તિ. |
| 02/04/2026, ગુરુવાર | બપોરે 10:00 થી | મહા અન્નક્ષેત્ર | દર્શનાર્થે આવનાર તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા. |
| 02/04/2026, ગુરુવાર | બપોરે 11:00 | મહા અન્નકૂટ | દાદાને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. |
| 02/04/2026, ગુરુવાર | સાંજે 07:00 | મહા સંધ્યા આરતી | નાસિક ઢોલ (તાસા ગ્રુપ), હજારો દીવડાઓ અને ભવ્ય આતશબાજી સાથે આરતી. |
