LPG Tanker Shivalik At Mundra Port: વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધ અને ભૂ-રાજકીય તણાવના કારણે ઊર્જા પુરવઠા પર માઠી અસર પડી છે, ત્યારે ભારત માટે રસોઈ ગેસના ક્ષેત્રે મોટા સમાચાર મળી રહ્યા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) દ્વારા સંચાલિત વિશાળ ગેસ કેરિયર જહાજ 'શિવાલિક' કતારથી 46,000 મેટ્રિક ટન LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) લઈને સુરક્ષિત રીતે ગુજરાતના મુન્દ્રા બંદર પર લાંગર્યું છે.
#WATCH | Gujarat: LPG tanker Shivalik, which crossed the Strait of Hormuz, arrives at the Mundra Port. pic.twitter.com/3E1T1DY4ut
— ANI (@ANI) March 16, 2026
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની મહત્વની સિદ્ધિ
વર્તમાન સમયમાં તેલ અને ગેસના શિપિંગ માર્ગો અત્યંત જોખમી બન્યા છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં વધતી અનિશ્ચિતતા અને હુમલાના જોખમો વચ્ચે ભારતીય જહાજનું ત્યાંથી સફળતાપૂર્વક પસાર થઈને ભારત પહોંચવું એ સુરક્ષા અને વ્યુહરચનાની દ્રષ્ટિએ મોટી સફળતા માનવામાં આવે છે.
46,000 મેટ્રિક ટન ગેસમાંથી કેટલા સિલિન્ડર ભરાશે?
સામાન્ય નાગરિક માટે આ આંકડો સમજવો રસપ્રદ છે. ચાલો જોઈએ કે આટલા મોટા જથ્થામાંથી કેટલા ઘરોમાં રસોઈ બની શકશે:
- 1) કુલ જથ્થો કિલોગ્રામમાં: 1 મેટ્રિક ટન એટલે 1,000 કિલોગ્રામ. આથી, 46,000 મેટ્રિક ટન એટલે કુલ 4,60,00,000 (46 મિલિયન) કિલોગ્રામ ગેસ.
- 2) સિલિન્ડરની સંખ્યા: ભારતમાં એક પ્રમાણભૂત ઘરેલું સિલિન્ડરમાં 14.2 કિલોગ્રામ ગેસ હોય છે.
- 3) ગણતરી: જો 4.6 કરોડ કિલોગ્રામને 14.2 વડે ભાગવામાં આવે, તો અંદાજે 32.39 લાખ (2.239 મિલિયન) સિલિન્ડર ભરી શકાય છે.
આમ, માત્ર એક જહાજના આગમનથી દેશના 32 લાખથી વધુ પરિવારોને ગેસનો પુરવઠો પૂરો પાડી શકાશે.
સરકારની પ્રાથમિકતા અને નિર્દેશ
ગેસની અછતને પહોંચી વળવા સરકારે બંદર અધિકારીઓને કડક સૂચના આપી છે. જહાજમાંથી ગેસ ઉતાર્યા (Unload) બાદ સૌ પ્રથમ ઘરેલું વપરાશ માટે પ્રાથમિકતા અપાશે. ત્યારબાદ હોસ્પિટલો, શાળાઓ અને અંતે વાણિજ્યિક (Commercial) એકમોને જરૂરિયાત મુજબ ગેસ ફાળવવામાં આવશે.
ભારતની વધતી નિર્ભરતા: એક ચિંતાજનક પાસું
ભારત અત્યારે વિશ્વનો ત્રીજો સૌથી મોટો LPG ગ્રાહક દેશ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતનો ગેસ વપરાશ 60 ટકા વધ્યો છે:
- 2015-16: 19.6 મિલિયન મેટ્રિક ટન (MMT) વપરાશ.
- 2024-25: 31.3 મિલિયન મેટ્રિક ટન (MMT) વપરાશ.
- ગ્રાહકોની સંખ્યા: સક્રિય ઘરેલું ગ્રાહકો 166 મિલિયનથી વધીને 330 મિલિયન (બમણા) થયા છે.
ચિંતાની વાત એ છે કે ભારતની કુલ જરૂરિયાતના માત્ર 40 ટકા ગેસનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થાય છે, જ્યારે બાકીનો 60 ટકા પુરવઠો કતાર, UAE અને અન્ય આરબ દેશોમાંથી આયાત કરવો પડે છે. આ નિર્ભરતા જ વર્તમાન કટોકટીનું મુખ્ય કારણ છે.
કટોકટી નિવારવા સરકારના પગલાં
પુરવઠા અને માંગ વચ્ચેનું સંતુલન જાળવવા સરકાર હવે નવા નિયમો વિચારી રહી છે. જે ગ્રાહકો પાસે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન છે, તેમને સ્વેચ્છાએ તેમનું LPG કનેક્શન સરન્ડર કરવા વિનંતી કરવામાં આવી રહી છે, જેથી જરૂરિયાતમંદ પરિવારો સુધી ગેસ પહોંચી શકે.
'શિવાલિક' જહાજનું આગમન એ ભારતીય રસોડા માટે મોટી રાહત છે. જોકે, લાંબા ગાળે આયાત પરની નિર્ભરતા ઘટાડવી અને વૈકલ્પિક ઇંધણ તરફ વળવું એ ભારત માટે અનિવાર્ય બન્યું છે.
