Bagdana controversy: બગદાણાના કોળી યુવક પર હુમલાના કેસમાં ભાવનગર જેલમાં કેદ જયરાજ આહીર (Jayraj Ahir) સહિત 6 આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી પર આજે મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. હવે આવતીકાલે કોર્ટમાં જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.
નવનીત બાલધિયાના વિરોધ વચ્ચે જામીન અરજી પર સુનાવણી
આ કેસમાં ભોગ બનનાર કોળી યુવક નવનીત બાલધિયા દ્વારા જયરાજ આહીર સહિતના આરોપીઓની જામીન અરજી સામે વાંધા અરજી દાખલ કરી હતી. જેમાં આરોપીઓને જામીન આપવામાં આવે, તો કેસની તપાસ પર અસર થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.
એવામાં આજે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ ઉપરાંત નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ સોલંકી અને અજય ભાલિયાએ પોતાના વકીલ મારફતે મહુવા કોર્ટમાં જામીન પર મુક્ત ખરવા માટે અરજી કરવામાં આવી હતી.
આ મામલે આજે પીડિત પક્ષ અને આરોપી પક્ષના દલીલો વચ્ચે ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ હવે આવતીકાલે જયરાજ આહીર સહિતના 6 આરોપીઓની જામીન અરજી પર વધુ સુનાવણી હાથ ધરશે.
8 આરોપીઓ જેલમુક્ત
નવનીત બાલધિયા પર હુમલો કરવાના મામલે અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી રાજુ ભમ્મર, વિરુ સયડા, આતુ ભમ્મર, ભાવેશ છેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સની વનાલિયા અને ઉત્તમ બંભાણિયા નામના 8 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જે બાદ કોર્ટે આ તમામ 8 આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યાં હતા. જ્યારે હાલ આ સમગ્ર પ્રકરણમાં જયરાજ આહીર સહિત 6 આરોપીઓ 13 દિવસથી ભાવનગરની જેલમાં છે.
જયરાજ આહીરને જેલમાં VIP સુવિધા મળી રહી છે
આ કેસમાં ફરિયાદી નવનીત બાલધિયાએ મુખ્ય આરોપી જયરાજ આહીરને જેલમાં VIP સુવિધા મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. નવનીત બાલધિયાએ જણાવ્યું કે, જયરાજ આહીર રાજકીય વગ ધરાવતા હોવાથી જેલના અધિકારીઓ પોતાના આર્થિક લાભ ખાતર તેને વિશેષ સગવડ પૂરી પાડી રહ્યા છે.
કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જેલ સજા માટે છે, કોઈની સુવિધા માટે નથી. આથી જેલના નિયમોનો ભંગ કરનારા આરોપીઓ તેમજ તેને મદદ કરનારા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
