Anand: આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આજે ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ઉમરેઠના માર્ગો પર વિશાળ રેલી અને રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. આ રોડ શૉમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ તકે સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદ પરમારને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જણાવી દઈએ કે, આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક ગત 6 માર્ચના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ખાલી પડી હતી, જેના કારણે આગામી 23 એપ્રિલના રોજ પેટાચૂંટણી માટે મતદાન કરાવવામાં આવશે, જ્યારે 4 મેના રોજ પરિણામ જાહેર થશે.
ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે, જે હાલ ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ છે. જ્યારે કોંગ્રેસ તરફથી અનુભવી ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
