Chaitar Vasava News: મધ્યપ્રદેશના ચૈનપુરમાં યોજાયેલા આદિવાસી એકતા સંમેલનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ દેશના 29મા રાજ્ય તરીકે 'ભીલ પ્રદેશ'ની માગ કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના હજારો આદિવાસીઓની વિશાળ મેદનીને સંબોધતા વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આદિવાસી સમુદાયના સર્વાંગી કલ્યાણ અને વિકાસ માટે એક અલગ સ્વાયત્ત રાજ્ય અનિવાર્ય છે.
અમને અમારો ભીલ પ્રદેશ જોઈએ છે
ધારાસભ્ય વસાવાએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, અમને અમારો ભીલ પ્રદેશ જોઈએ છે અને અમે તેના માટે લડવા તૈયાર છીએ. મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં આદિવાસી વિસ્તારોની સ્થિતિ દયનીય છે અને વર્તમાન સરકારો આ સમુદાયના કલ્યાણ માટે પૂરતા પ્રયાસો કરી રહી નથી. આદિવાસીઓના કલ્યાણ માટેની યોજનાઓ તેમના સુધી પહોંચી રહી નથી અને આ સ્થિતિમાં સુધારો લાવવા માટે 'ભીલ પ્રદેશ' એકમાત્ર અસરકારક ઉકેલ છે.
અમે આદિવાસી છીએ અને આદિવાસી જ રહીશું
ચૈતર વસાવાએ આદિવાસીઓના ઇતિહાસ અને મૂળ ઓળખ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, અમે વનબંધુ નથી, અમે વનવાસી નથી, અમે આદિવાસી છીએ અને આદિવાસી જ રહીશું. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીઓ આ ધરતી પર આદિ અનાદિ કાળથી વસતા આવ્યા છે અને તેમનો સ્વભાવ સરળ, સંવેદનશીલ અને પ્રકૃતિપૂજક રહ્યો છે.
આ પણ વાંચો
ચૈતર વસાવાએ બિરસા મુંડા, ખાજ નાયક, તિલકા માંઝી જેવા આદિવાસી ક્રાંતિકારીઓને યાદ કરીને જણાવ્યું કે તેમનું સપનું આદિવાસીઓ માટે શોષણમુક્ત અને સ્વાવલંબી જીવનનું હતું. તેમણે આઝાદી પછી પણ આદિવાસીઓને બંધારણમાં અપાયેલા સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના અધિકારો ન મળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ બંધારણીય અધિકારો જેવા કે અનુસૂચિ-5 અને પેશા (PESA) એક્ટના અમલીકરણ માટે ચિંતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
'આદિવાસી' તરીકે એક થવા અપીલ કરી
ચૈતર વસાવાએ આદિવાસી સમાજને રાજકીય પક્ષો, સંગઠનો અને ધર્મ-સંપ્રદાયોમાં વહેંચાયેલા રહેવાને બદલે 'આદિવાસી' તરીકે એક થવા અપીલ કરી હતી. આદિવાસીને પહેલા આદિવાસી તરીકે એક થવું પડશે, ત્યારે જ આદિવાસીઓનો વિકાસ થશે. પાર્ટીઓ આવશે અને જશે, પણ આદિવાસી અસ્મિતા બચાવવા માટે આપણે સૌએ એક થઈને લડવું પડશે, તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
