Gujarat Weather Forecast: એપ્રિલ મહિનાના પ્રારંભથી રાજ્યના વાતવરણમા પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની સ્થિતિ સર્જાઇ છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિત 23 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે માવઠાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે.
3 એપ્રિલ 2026ની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 3 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

7 એપ્રિલ 2026ની હવામાન વિભાગની આગાહી
4થી 6 એપ્રિલ દરમિયાન હાલ રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઇ નથી. જોકે 7 એપ્રિલના રોજ ફરી રાજ્યનું વાતવારણ પલટાઇ શકે છે અને કમોસમી વરસાદ થઇ શકે છે. 7 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં જોવા મળ્યો માવઠાનો માહોલ
હવામાન વિભાગની આગાહી અનુરુપ આજે બપોર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 1 ઇંચ, ખંભાળિયામાં 16 મિ.મી., ઓખામાં 7 મિ.મી. અને ભાણવડમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 1 ઇંચ અને તાલાલામાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે. કચ્છના અંજાર અને મુંદ્રામાં 5-5 મિ.મી. અને ગાંધીધામમાં 4 મિ.મી. વરસાદ નોંધાયો છે. જામનગરમાં લાલપુરમાં 3 મિ.મી. વરસાદ વરસ્યો છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત અને તેના પડોશી વિસ્તારોમાં 0.9 કિલોમીટરની ઊંચાઈએ ઉપલા વાતાવરણમાં એક ચક્રવાત સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. જ્યારે ગઈકાલનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ દક્ષિણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં 3.1 થી 7.6 કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાત સર્ક્યુલેશન તરીકે સ્થિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 એપ્રિલ, 2026થી ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી સંભાવના છે. બીજી તરફ, ગઈકાલનું પૂર્વ રાજસ્થાન પરનું ઉપલા વાતાવરણનું ચક્રવાત સર્ક્યુલેશન હવે હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં ખસી ગયું છે અને ગુજરાત રાજ્ય માટે તેની અસર હવે નગણ્ય બની છે. તેવી જ રીતે, હરિયાણાના ચક્રવાત સર્ક્યુલેશનથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધીની દ્રોણ રેખા પણ નબળી પડી ગઈ છે.
