અમદાવાદના સૈજપુર બોઘામાં 100 ફૂટ પહોળો રસ્તો ખુલ્યો, AMCએ કર્યું ડિમોલિશન; 14 વર્ષની કાનૂની લડતનો અંત

આ રસ્તો ખુલ્લો થવાથી ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો થશે અને ટ્રાફિક જામ થતો ઘટશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 13 Jun 2026 04:08 PM (IST)Updated: Sat, 13 Jun 2026 04:08 PM (IST)
amc-demolition-in-saijpur-bogha-opens-100-feet-tp-road-in-ahmedabad

Ahmedabad Development News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ઉત્તર કોરિડોરમાં ટાઉન પ્લાનિંગ - TP સ્કીમ નંબર 35/2 (સૈજપુર બોઘા) અંતર્ગત વર્ષોથી અટકેલા રસ્તાને ખુલ્લો મૂકવા માટે દબાણ હટાવવાની એક મોટી ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહીથી શહેરના એક અતિ-વ્યસ્ત માર્ગ પર 100 ફૂટ એટલે કે 30 મીટર પહોળા રસ્તાના વિકાસનો માર્ગ હવે મોકળો થયો છે.

કાનૂની વિવાદ અને ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

મેમ્કો ખાતે રાજીવ ગાંધી ભવન અને AMC નોર્થ ઝોન ઓફિસ પાસે સૈજપુર ટાવરની સામે આવેલો આ વિસ્તાર TP સ્કીમ નંબર 35/2 હેઠળ આવે છે. આ સ્કીમ વર્ષ 1992થી ડ્રાફ્ટ મંજૂરીના તબક્કામાં હતી. જોકે, સિવિલ કોર્ટમાં અનેક દાવાઓ દાખલ થતાં લાંબા કાનૂની પડકારો ઊભા થયા હતા.

આખરે 2012માં રાજ્ય સરકાર દ્વારા તેને પ્રાથમિક TP સ્કીમ તરીકે મંજૂરી આપવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં આ સ્કીમના અમલીકરણ સામે ત્રણ પિટિશન દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે 4 મે, 2026 ના રોજ લોકહિત અને ન્યાયના વ્યાપક હિતમાં આ અરજીઓનો નિકાલ કરતા દબાણ દૂર કરવાનો રસ્તો સાફ થયો હતો.

AMC ડિમોલિશન ડ્રાઇવ: 100 ફૂટનો રસ્તો ખુલ્યો

ગુજરાત હાઇકોર્ટના નિર્દેશોનું પાલન કરતા, AMC દ્વારા 12 જૂનના રોજ એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે એસ્ટેટ, અર્બન ડેવલપમેન્ટ, નોર્થ ઝોન વહીવટી તંત્ર, ટ્રાફિક અને સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગના આશરે 150 કર્મચારીઓની ટીમ મેદાનમાં ઉતારવામાં આવી હતી.

અમદાવાદ મનપા ટીમે હિટાચી એસ્કેવેટર, 4 JCB, 4 ડમ્પર, ગેસ કટર અને પ્રેશર વાન જેવા ભારે સાધનોની મદદથી 30 મીટર એટલે કે 100 ફૂટ પહોળા TP રસ્તા પર નડતરરૂપ તમામ દબાણો દૂર કર્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીથી 450 મીટર લાંબો રસ્તો ખોલવામાં આવ્યો છે. હવે TP સ્કીમ અંતર્ગત જરૂરી આશરે 15,000 ચોરસ ફૂટ જમીન પરત મેળવવામાં આવી છે.

ટ્રાફિક ઘટશે અને BRTS પ્રોજેક્ટ આગળ વધશે

આ રસ્તો અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 નો મહત્વનો ભાગ છે. સ્થાનિક AMTS અને BRTS બસો ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, આબુ રોડ અને અંબાજી તરફ જતી ગુજરાત એસટી (GSRTC) અને આંતરરાજ્ય બસો દ્વારા તેનો બહોળો ઉપયોગ થાય છે. રસ્તો સંપૂર્ણપણે ન ખૂલવાને કારણે આ પટ્ટા પર BRTS ગ્રીલ અને બેરીકેડ લગાવી શકાયા ન હતા. 

હવે રસ્તો તેની મંજૂર થયેલ પૂર્ણ પહોળાઈમાં ખુલ્લો થતાં, AMC બાકી રહેલા BRTS ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી પૂર્ણ કરી શકશે. લગભગ 14 વર્ષના લાંબા વિલંબ બાદ રસ્તો ખુલ્લો થવાથી આ વિસ્તારમાં ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો થશે, માર્ગ સલામતી વધશે અને લાંબા સમયથી પડતર ટ્રાફિક જામની સમસ્યાઓનો અંત આવશે.