શિવભક્તો માટે ખુશખબર! GSRTC દ્વારા નવી અમદાવાદ-સોમનાથ વોલ્વો બસ સેવાનો પ્રારંભ; જાણો સંપૂર્ણ માહિતી

અમદાવાદ-સોમનાથ વોલ્વો બસ ગીતામંદિર બસ સ્ટેન્ડથી સવારે 7:30 કલાકે ઉપડશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 30 May 2026 11:38 AM (IST)Updated: Sat, 30 May 2026 11:38 AM (IST)
ahmedabad-somnath-volvo-bus-service-gsrtc-schedule-time-route-details
HIGHLIGHTS
  • અમદાવાદથી સોમનાથ નવી વોલ્વો બસ
  • આ બસ ગીતામંદિર ડેપોથી સવારે ઉપડશે

Ahmedabad-Somnath GSRTC Volvo Bus Service: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને દ્વારા નવી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુસાફરો માટે તાજેતરમાં જ આ સુવિધાયુક્ત, સલામત અને સમયબદ્ધ અમદાવાદ-સોમનાથ વોલ્વો બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

અમદાવાદ-સોમનાથ-અમદાવાદ વોલ્વો બસ (વાયા કોડિનાર)

GSRTC દ્વારા શરૂ કરાયેલી અમદાવાદ-સોમનાથ-અમદાવાદ નવી વોલ્વો બસ વાયા કોડીનાર થઈને પસાર થશે, અને મુસાફરો માટે ખૂબ જ અનુકૂળ સમય ધરાવે છે:

  • અમદાવાદ-સોમનાથ બસ: અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડથી સવારે 7:30 કલાકે આ વોલ્વો બસ ઉપડશે, અને સાંજે 5:30 કલાકે સોમનાથ પહોંચશે.
  • સોમનાથ-અમદાવાદ બસબીજા દિવસે સવારે 7:30 કલાકે આ બસ સોમનાથથી ઉપડશે, અને સાંજે 5:30 કલાકે અમદાવાદ પરત પહોંચશે.

બસના મુખ્ય સ્ટોપેજ કયા રહેશે?

આ બસ સેવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મહત્વના શહેરોને જોડશે. બંને તરફની મુસાફરી દરમિયાન આ બસ નીચે મુજબના સ્થળોએ સ્ટોપેજ કરશે:

  • ધોલેરા ચોકડી
  • ભાવનગર
  • તળાજા
  • મહુવા
  • રાજુલા
  • ઉના
  • કોડીનાર

બુકિંગ કેવી રીતે કરવું? 

આ નવી વોલ્વો બસ સેવાથી મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. GSRTC બસનું ઓનલાઇન બુકિંગ તેમની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in અથવા GSRTC મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરી શકાય છે. આ ઉપરાંત કોઈપણ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર સંપર્ક કરી શકાય છે.

અન્ય નિયમિત GSRTC વોલ્વો બસ

નિયમિત Volvo AC બસને અમદાવાદથી સોમનાથ પહોંચતા અંદાજિત 9 થી 10 કલાકનો સમય લાગે છે. વહેલી સવારે 05:45 વાગ્યે ગીતામંદિર બસ પોર્ટથી ઉપડે છે. સાંજે 07:30 વાગ્યે નાના ચિલોડા/ગીતામંદિરથી ઉપડે છે.

GSRTC સ્પેશિયલ સોમનાથ 'ટૂર પેકેજ'

જે લોકો સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે યાત્રા કરવા માંગે છે, તેમના માટે GSRTC એ ખાસ 'ટૂર પેકેજ વોલ્વો બસ' શરૂ કરી છે. આ બસ સવારે 06:00 વાગ્યે રાણીપ બસ સ્ટેશનથી ઉપડી સાંજે 04:00 વાગ્યે સોમનાથ પહોંચાડે છે. બીજા દિવસે સવારે 09:30 વાગ્યે ત્યાંથી ઉપડીને રાત્રે 10:30 વાગ્યે અમદાવાદ પરત લાવે છે.

આ પેકેજ પ્રતિ વ્યક્તિ આશરે રૂ. 4000 અને બે વ્યક્તિ માટે રૂ. 7,050 માં પડે છે. આ ખર્ચમાં બે ટાઇમનું ભોજન, હોટલમાં રાત્રિ રોકાણ અને ગાઇડની સુવિધા સામેલ છે. આ ઉપરાંત, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિરના દર્શન પણ કરાવવામાં આવે છે.

ખાનગી ટ્રાવેલ્સ અને બુકિંગ

જો તમે ખાનગી એસી સ્લીપર કે લક્ઝરી બસમાં મુસાફરી કરવા માંગતા હોવ, તો રાત્રે 09:00 થી 12:00 વચ્ચે પાલડી, સેટેલાઇટ, ઇસ્કોન ચાર રસ્તા, CTM અથવા ઓઢવ રિંગ રોડ ખાતેથી બસો મળી રહે છે. જેનું ભાડું સીઝન મુજબ આશરે રૂપિયા 800 થી 1000 હોય છે.