Ahmedabad: 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે અમદાવાદ એરપોર્ટને આગામી 31 જાન્યુઆરી સુધી હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. જેને લઈને તમામ એરલાઈન્સ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ મુસાફરોને એરપોર્ટ પર પોતાની ફ્લાઈટના સમયથી 3 કલાક વહેલા પહોંચવા જણાવવામાં આવ્યું છે.
ફ્લાઈટ ઉપડવાના 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાની સૂચના
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યું હોવાથી સુરક્ષા કારણોસર તમામ મુસાફરોના લગેજનું ડબલ ચેકિંગ કરવામાં આવશે.
આથી મુસાફરોને એરપોર્ટ પર સામાન્ય કરતા વધુ સમય લાગી શકે તેમ હોવાથી એરપોર્ટ ઑથોરિટી અને એરલાઈન્સ દ્વારા તમામ મુસાફરોને પોતાની ફ્લાઈટના નિર્ધારિત સમય કરતાં 3 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે, મુસાફરોની સુરક્ષા અને સુરક્ષિત તેમજ સરળ મુસાફરી અમારી પ્રાથમિક્તા છે. જો કે એક્સ્ટ્રા ચેકિંગના કારણે વધારે સમય લાગે તોમ હોવાથી મુસાફરોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવે છે.
એરપોર્ટ સ્થિત ચેક ઈન કાઉન્ટર ફ્લાઈટ ઉપડવાના 60 મિનિટ પહેલા બંધ થઈ જશે, જ્યારે બોર્ડિંગ ગેટ ફ્લાઈટના 25 મિનિટ પહેલા બંધ થઈ જશે. આ સાથે જ તમામ મુસાફરોને ચેક ઈન બેગ સિવાય માત્ર 7 કિલો વજનની હેન્ડ બેગ જ પાસે રાખવાની સૂચના આપવામાં આવી છે.
