Ahmedabad: અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે આવેલી ભારત ગેસ એજન્સીની દુકાનમાં શુક્રવારે સાંજે એલપીજી ગેસ સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના અંગે બપોરે 4:41 વાગ્યે ફાયર કન્ટ્રોલ રૂમને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતા અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઇ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ગીતા મંદિર વિસ્તારમાં આવેલી ભારત ગેસ એજન્સીની દુકાનમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.આ વિસ્ફોટના કારણે બે નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ દ્વારા બે વોટર બાઉઝર, એક મિની ફાયર ફાઇટર તથા બે એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચીફ ફાયર ઓફિસર (CFO), એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર સહિત ફાયરમેનની ટીમોએ આગને કાબૂમાં લેવા અને પરિસ્થિતિને સુરક્ષિત બનાવવા કામગીરી સંભાળી હતી.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ હાલ નિયંત્રણમાં છે. કોઈ વધુ અકસ્માત ન સર્જાય તે માટે દુકાનમાં રહેલા બાકીના ગેસ સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
