Ahmedabad News: દેશની રાજધાની દિલ્હીમાં થોડા સમય પહેલા અગ્નિકાંડ સર્જાયો હતો. તેને પગલે અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી ગયો છે. ફાયર ટીમે શહેરની અલગ અલગ હોટેલોમાં ફાયર સેફ્ટી અને NOC અંગે સઘન તપાસ શરુ કરી છે. જેમાં આ તપાસ દરમિયાન ફાયર સેફ્ટીની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતી 53 હોટેલોને નોટિસ ફટકારવામાં આવી હતી.
ફાયર વિભાગે 8 હોટેલોને સીલ કરી
ફાયર વિભાગે કાર્યવાહીના ભાગરુપે અગાઉ 6 જેટલી જાણીતી હોટેલોને સીલ કરી હતી. હવે વિભાગ દ્વારા પાલડી, નારણપુરા અને ચાંદખેડાની વધુ 8 પ્રખ્યાત હોટેલોમાં ફાયર સેફ્ટી અને NOC અંગે તપાસ શરુ કરી છે. જેને લઈને ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન જણાતા 8 હોટેલોને સીલ કરી દેવાઈ છે.
કાર્યવાહીથી બચવા સંચાલકોના બહાના
કાર્યવાહી અંગે ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલના જણાવ્યાનુસાર, આ હોટેલોને 7 દિવસ પહેલા જ નોટિસ આપવામાં આવી હતી. તેની સાથે મૌખિક સૂચના પણ અપાઈ હતી. તેમ છતા NOC અને ફાયર નિયમોને ગંભીરતાથી ન લેતી હોટેલો સામે કાર્યવાહી કરાઈ છે.
હોટેલ સંચાલકો કાર્યવાહીથી બચવા માટે અવનવા બહાના બતાવે છે. ફાયર વિભાગે ચાંદખેડાની 4 હોટેલ અને નારણપુરાની 3 હોટેલોની સીલ કરી છે.
- નારણપુરા: ગ્રીન ફોર્ચ્યુન, પેસિફિક એમ્પાયર, આર.કે.રેજન્સી
- ચાંદખેડા: સન સ્ટાર ઇજન, ફિલિપ, કહાની પ્રોગ્રેસિવ, નીલકંઠ
- પાલડી: આરામ હાઇટેક
