કેસર એક એવી કિંમતી વસ્તુ છે કે જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ અને રંગ ઉમેરવા માટે થાય છે. પણ શું તમે જાણો છો? આ કેસર સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે.
આયુર્વેદમાં કેસરને શક્તિ આપનાર ઔષધિ માનવામાં આવે છે. તેની અમૂલ્ય ગુણવત્તાને કારણે તેને વિશ્વભરમાં 'ગોલ્ડન સ્પાઈસ' તરીકે ઓળખવામાં આવે છે.
કેસર એન્ટી-ઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે શરીરને રોગો સામે લડવાની તાકાત આપે છે. જો કેસરને હળદર, આદુ અથવા તજ જેવા મસાલા સાથે લેવામાં આવે, તો તેની અસર બમણી થઈ જાય છે.
જો તમે વારંવાર સ્ટ્રેસ, બેચેની કે ઉદાસી અનુભવતા હોય તો કેસરનું સેવન વરદાનરૂપ છે. સંશોધનો મુજબ, કેસર નેચરલ મૂડ બૂસ્ટર તરીકે કામ કરે છે અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.
કેસર હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તે શરીરમાં સોજો (inflammation) ઘટાડે છે અને હૃદયના કોષોને નુકસાન થતા બચાવવામાં મદદ કરે છે.
આયુર્વેદમાં સદીઓથી ત્વચાની સંભાળ માટે કેસર વપરાય છે. પ્રસિદ્ધ 'કુમકુમાદી તેલ'માં કેસર મુખ્ય તત્વ હોય છે, જે ત્વચાને કુદરતી ચમક આપે છે અને કાળા ડાઘ ઘટાડવામાં મદદ કરે છે.
પેટનું ફૂલવું, ગેસ અથવા અપચાની સમસ્યામાં કેસર રાહત આપી શકે છે. તેના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પાચનતંત્રને શાંત કરે છે અને પેટની તકલીફો દૂર કરે છે.
કેસર ખૂબ જ શક્તિશાળી હોય છે, તેથી અતિરેક ટાળવો જોઈએ. દિવસમાં માત્ર 1 થી 2 રેસા (દોરા) પૂરતા છે. તેને રાત્રે ગરમ દૂધમાં અથવા હૂંફાળા પાણીમાં ભેળવીને લઈ શકાય છે.
આ લેખ સામાન્ય જાણકારી માટે છે ,વધુ જાણકારી કે ગંભીર સમસ્યા માટે હંમેશા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી.વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.