Virat Kohli Sunil Gavaskar: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે સારી શરૂઆત ન મળવાને કારણે ભારતને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતની શરૂઆત ક્યારેય સારી રહી નથી અને મોટા સ્કોરનો પીછો કરવામાં નિષ્ફળ રહેવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. ગાવસ્કરે ભારપૂર્વક કહ્યું કે કહેવત મુજબ 'સારી શરૂઆત એટલે અડધુ કામ થઈ ગયું', પરંતુ આ શ્રેણીમાં ભારત માટે અસલી સમસ્યા એ હતી કે સારી શરૂઆત ન કરી શકી.
ઈન્દોરમાં હાર અને શ્રેણી ગુમાવી
ભારતને ઈન્દોરમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 41 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારત પોતાના જ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત વનડે શ્રેણી હારી ગયું છે. મેચ દરમિયાન ભારતના અડધોઅડધ બેટ્સમેનો માત્ર 159 રનમાં જ પેવેલિયન પરત ફર્યા હતા, જેનાથી ટીમની જીતવાની શક્યતાઓને ગંભીર ફટકો પડ્યો હતો.
વિરાટ કોહલીની એકલા હાથે લડત
ભારતના મુખ્ય બેટ્સમેનોમાં માત્ર વિરાટ કોહલી જ સારું પ્રદર્શન કરી શક્યા હતા, જેમણે 108 બોલમાં 124 રન બનાવ્યા હતા. ગાવસ્કરે નોંધ્યું કે કોહલીને ટીમના અન્ય ખેલાડીઓનો પૂરતો સહયોગ મળ્યો ન હતો, જેના કારણે ભારત માટે લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું હતું. ગાવસ્કરે કહ્યું કે જ્યારે તમે કેએલ રાહુલ જેવા ફોર્મમાં રહેલા ખેલાડીને ગુમાવો છો અને નીતીશ કુમાર રેડ્ડી તથા હર્ષિત રાણા જેવા ખેલાડીઓ પર નિર્ભર રહો છો, ત્યારે મોટા લક્ષ્યને પાર કરવું એક મોટો પડકાર બની જાય છે.
કોઈ ચોક્કસ ઈમેજમાં બંધાવું નહીં
સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની માનસિકતાના વખાણ કરતા કહ્યું કે કોહલીની વિશેષતા એ છે કે તેઓ કોઈ એક ચોક્કસ છબીમાં બંધાયેલા નથી. ઘણા ખેલાડીઓ એવું વિચારે છે કે લોકો તેમની પાસેથી છગ્ગા મારવાની અપેક્ષા રાખે છે, પરંતુ કોહલી લોકો શું વિચારે છે તેની પરવા કર્યા વિના પરિસ્થિતિ મુજબ રમે છે. ક્યારેક તેઓ સંભાળીને રમે છે તો ક્યારેક આક્રમક અંદાજ અપનાવે છે.
યુવા ખેલાડીઓ માટે સલાહ
ગાવસ્કરે ટીમના અન્ય બેટ્સમેનો અને યુવા ખેલાડીઓને વિરાટ કોહલી પાસેથી શીખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓએ કોહલી પાસેથી એ પાઠ શીખવો જોઈએ કે તેઓ કોઈ ચોક્કસ છબીમાં બંધાઈને ન રહે અને મેચની પરિસ્થિતિ અનુસાર રમે. ગાવસ્કરના મતે જો ખેલાડીઓ કોહલીની જેમ પરિસ્થિતિ મુજબ રમવાનું અને ક્યારેય હાર ન માનવાનું વલણ અપનાવશે તો તેઓ વધુ સફળ અને સારું પ્રદર્શન કરનારા ખેલાડી બની શકશે.
