Somvati Amavasya 2026: વર્ષ 2026 નો 15 જૂનનો આ સોમવાર ઇતિહાસના પાનાઓમાં નોંધાઈ જશે. આજના દિવસે આકાશમાં એક એવી અદ્ભુત અને અલૌકિક ઘટના આકાર લઈ રહી છે, જે સામાન્ય રીતે સદીઓમાં માત્ર એક જ વાર જોવા મળતી હોય છે. ધાર્મિક આસ્થાઓ અને વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આ દિવસ અત્યંત પ્રભાવશાળી સાબિત થવાનો છે. આજે એક સાથે સોમવતી અમાસ, મિથુન સંક્રાંતિ અને જેઠ અધિક માસના અંતિમ દિવસનો ત્રિવેણી સંગમ રચાયો છે, જેને જ્યોતિષીઓ 396 વર્ષ બાદ બનેલો સૌથી મોટો મહાસંયોગ ગણાવી રહ્યા છે.આ પવિત્ર દિવસે સવારે 8:23 વાગ્યા સુધી સ્નાન, દાન અને પૂજા-પાઠ માટે સંકલ્પ લેવો મહાપુણ્યદાયી માનવામાં આવે છે.
ભૂતકાળ અને ભવિષ્યની સફર
પંચાંગની ગણતરી મુજબ, જ્યારે સોમવારના દિવસે સૂર્યોદય સમયે અમાસ તિથિ પ્રવર્તમાન હોય ત્યારે જ તેને 'સોમવતી અમાસ' કહેવામાં આવે છે. આ વખતે આ પવિત્ર તિથિની સાથે-સાથે સૂર્યદેવ પણ પોતાની રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશી રહ્યા છે.
ગણિતશાસ્ત્રીઓ અને જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર, આ પહેલાં આવો અદ્ભુત સંયોગ આજથી અંદાજે ચાર સદીઓ પહેલાં, એટલે કે 10 જૂન 1630 ના રોજ સર્જાયો હતો. હવે આ અદ્ભુત નજારો જોવા માટે માનવજાતે લાંબી પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે આગામી સમયમાં આ યોગ 301 વર્ષ પછી, એટલે કે 20 જૂન 2327 ના રોજ ફરી દેખાશે. આ ઉપરાંત આજે આકાશમાં સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ જેવા શ્રેષ્ઠ નક્ષત્ર યોગો પણ સક્રિય છે.
સૂર્યનું રાશિ પરિવર્તન અને ચોમાસાની શરૂઆત
ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, પરંતુ પૃથ્વી પરથી જોતાં સૂર્ય જે કાલ્પનિક ગોળાકાર માર્ગ પર ચાલતો દેખાય છે તેને 'ક્રાંતિવૃત્ત' કહે છે. આ માર્ગના 12 સમાન ભાગ એટલે આપણી 12 રાશિઓ. 15 જૂને બપોરે અંદાજે 12:49 વાગ્યે સૂર્યદેવ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિની સરહદમાં પ્રવેશ કરશે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા અને કાલગણનાના પિતા માનવામાં આવે છે. સૂર્યની ચાલ બદલાતા જ ઋતુઓ બદલાય છે. ભારતીય પરંપરા મુજબ, સૂર્યનું મિથુન રાશિમાં આગમન થતાં જ સત્તાવાર રીતે ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે. સામાન્ય રીતે સૂર્ય જ્યારે મિથુનથી સિંહ રાશિ વચ્ચે ભ્રમણ કરે છે ત્યારે ભારતમાં પૂરજોશમાં વરસાદ પડે છે.
ત્રિગ્રહી અને બુધાદિત્ય યોગની અસરો
સૂર્યના મિથુન રાશિમાં પ્રવેશતાની સાથે જ ત્યાં પહેલાથી જ બિરાજમાન બુધ ગ્રહ સાથે તેનો સંયોગ થશે, જેને જ્યોતિષમાં 'બુધાદિત્ય યોગ' કહેવામાં આવે છે. આ યોગ બુદ્ધિ, કરિયર, ખ્યાતિ અને આર્થિક પ્રગતિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ સાથે ચંદ્રની સ્થિતિને કારણે આકાશમાં ખાસ 'ત્રિગ્રહી યોગ' પણ રચાઈ રહ્યો છે.
12 રાશિઓ પર આ મહાસંયોગની અસરો
મેષ (ત્રીજા ભાવમાં): સાહસ અને આત્મવિશ્વાસ વધશે. નાની યાત્રાથી મોટો લાભ થશે અને ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે.
વૃષભ (બીજા ભાવમાં): આવકની નવી તકો ઊભી થશે, પરંતુ નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી અને વાણીમાં નમ્રતા જાળવવી.
મિથુન (પ્રથમ ભાવમાં): સૂર્ય તમારી જ રાશિમાં હોવાથી નેતૃત્વ શક્તિ ખીલશે અને નવી જવાબદારી મળશે. જોકે, સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું.
કર્ક (બારમા ભાવમાં): આર્થિક ખર્ચમાં વધારો થઈ શકે છે. બિનજરૂરી રોકાણ અને માનસિક તણાવથી બચવું. આધ્યાત્મિક કે વિદેશ યાત્રાના યોગ છે.
સિંહ (અગિયારમાં ભાવમાં): અણધાર્યા લાભ અને ઈચ્છાપૂર્તિનો સમય છે. મિત્રો તરફથી સહયોગ મળશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
કન્યા (દસમાં ભાવમાં): કરિયરમાં પ્રગતિ અને ઉચ્ચ પદ-પ્રતિષ્ઠા મળવાના મજબૂત સંકેત છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સાથ મળશે.
તુલા (નવમાં ભાવમાં): ભાગ્યનો ભરપૂર સાથ મળશે. ધાર્મિક કાર્યો અને લાંબી યાત્રાના અદભુત યોગ છે. પિતા કે ગુરુનું માર્ગદર્શન ફાયદાકારક નીવડશે.
વૃશ્ચિક (આઠમાં ભાવમાં): જીવનમાં અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે અને કોઈ પણ જોખમી નિર્ણયો લેવામાં સાવધાની રાખવી.
ધનુ (સાતમાં ભાવમાં): વેપાર અને ભાગીદારીના વ્યવસાયમાં નવી તકો મળશે. જાહેર છબી મજબૂત બનશે, પરંતુ જીવનસાથી સાથે દલીલો ટાળવી.
મકર (છઠા ભાવમાં): નોકરીમાં પ્રગતિ અને હરીફો પર વિજય મેળવવાનો ઉત્તમ સમય છે. કોર્ટ-કચેરીના મામલામાં મોટી રાહત મળી શકે છે.
કુંભ (પાંચમાં ભાવમાં): શિક્ષણ, કળા અને સંતાન પક્ષે પ્રગતિ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ છે, પરંતુ સટ્ટા કે જોખમી રોકાણથી દૂર રહેવું.
મીન (ચોથા ભાવમાં): ઘર, જમીન કે વાહન ખરીદવાના નિર્ણયો લઈ શકાય. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. નોકરી અને પરિવાર વચ્ચે સંતુલન રાખવું.
પૌરાણિક મહત્વ અને આ દિવસે કરવા યોગ્ય કાર્યો
સ્કંદ પુરાણ અને ભગવદ્ ગીતા જેવા પવિત્ર ગ્રંથોમાં આજના દિવસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સ્કંદ પુરાણના સોમવતી તીર્થ પ્રસંગ મુજબ, આ સંયોગમાં પવિત્ર નદીઓમાં સ્નાન, જપ અને દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. આ દિવસે પિતૃઓને તલ મિશ્રિત જળ અને પિંડદાન આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, "હું વૃક્ષોમાં અશ્વત્થ છું." તેથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અને પરિક્રમાનું ભારે મહત્વ છે.
આ દિવસે પુણ્ય કમાવવા માટે શું કરવું?
1. સવારે વહેલા ઉઠી પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરો અને ઉગતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપો.
2. શિવલિંગ પર જળ, કાચું દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરો. ભગવાન વિષ્ણુને તુલસી દળ ચઢાવો.
3. પીપળાના ઝાડ પર જળ ચઢાવી, ઘીનો દીવો પ્રગટાવીને પરિવારની સુખ-શાંતિ માટે પરિક્રમા કરો.
4. જરૂરિયાતમંદ લોકોને જળ, છત્રી, પંખો, ચપ્પલ, ફળ, કપડાં અને અન્નનું યથાશક્તિ દાન કરો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
