Harish Rana: 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાનું મંગળવારે અવસાન થયું. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હરીશને ઈચ્છામૃત્યુની મંજુરી આપી હતી. ત્યારબાદ, હરીશને તેમના ઘરેથી દિલ્હીના એઈમ્સમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઈચ્છામૃત્યુની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેમણે મંગળવારે સાંજે 4:10 વાગ્યે એઈમ્સ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. હરીશના મૃત્યુ બાદ તેમના પરિવારે માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.
AIIMSના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરીશ રાણાના બે કોર્નિયા અને હાર્ટના વાલ્વ જેવા મહત્વપૂર્ણ ટિશ્યૂનું દાન કરવામાં આવ્યું છે. આ અંગ અને ટિશ્યૂને દાનના ક્ષેત્રમાં એક મોટું અને પ્રેરણાદાયક પગલું માનવામાં આવી રહ્યું છે. હરીશ રાણાના અંતિમ સંસ્કાર બુધવારે સવારે દક્ષિણ દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે માનવતાના ધોરણે પેસિવ યૂથેનેશિયા અથવા જીવન સહાયક ઉપકરણોને દૂર કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે ગૌરવ સાથે મૃત્યુ એ જીવનના અધિકારનો એક ભાગ છે.
એ નોંધવું જોઈએ કે AIIMS વહીવટીતંત્રે હરીશ રાણાના કેસ માટે પાંચ સભ્યોનું ઉચ્ચ સ્તરીય મેડિકલ બોર્ડ બનાવ્યું હતું. આ ટીમમાં પેલિએટિવ કેર, ન્યુરોલોજી, એનેસ્થેસિયા અને અન્ય મુખ્ય વિભાગોના વરિષ્ઠ ડોકટરોનો સમાવેશ થતો હતો. આ ટીમ દર્દીનું સતત નિરીક્ષણ કરી રહી હતી જેથી ખાતરી કરી શકાય કે તેને તેના અંતિમ ક્ષણો દરમિયાન શારીરિક તકલીફ ન પડે. થોડા દિવસો પહેલા હરીશ રાણાને ન્યૂટ્રીશન સપોર્ટ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
હરીશ રાણા 2013થી કોમામાં હતા
કોર્ટના આદેશ છતાં, મેડિકલ બોર્ડ દરરોજ દર્દીની સ્થિતિની સમીક્ષા કરવાનું ચાલુ રાખ્યું. 31 વર્ષીય હરીશ રાણા 2013થી કોમામાં હતા. 13 વર્ષ પહેલાં માથામાં થયેલી ગંભીર ઈજા બાદ હરીશ ભારે તકલીફનો સામનો કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, પરિવારને માત્ર શારીરિક અને માનસિક વેદના જ નહીં, પણ આર્થિક રીતે પણ ઘણું જ વેઠવું પડ્યું હતું. હરીશ માટે ઈચ્છામૃત્યુની માગ તેમના પરિવાર માટે દિલ પર પથ્થર રાખવા જેટલું કપરું હતું. જો કે તે જરુરી હતું કે જેથી તેમના પોતાના તેમને તે અંતહીન પીડામાંથી મુક્તિ અપાવી શકે જેને તેઓ દરેક ક્ષણ જોઈ રહ્યા હતા.
પરિવારે જીવ બચાવવાનો અથાક પ્રયાસ કર્યો
એક અકસ્માતમાં હરીશ કોમામાં ગયા પછી, તેના માતાપિતા અને ભાઈએ તેની સારવાર માટે અથાક મહેનત કરી હતી.તેમણે દેશભરના નિષ્ણાતોની સલાહ લીધી અને તેમણે સૂચવેલી કોઈપણ સારવારનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. અંતે, તેઓએ તેમના પુત્રને ગૌરવપૂર્ણ મૃત્યુ મળે તે સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. અને કોર્ટે પણ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો.
