Loading...

Ram Temple In Bengal: બંગાળમાં 100 કરોડના ખર્ચ બનશે ભવ્ય રામ મંદિર, જાણો કેમ છે ખાસ

આ મંદિર માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહિ, પરંતુ બંગાળની વિરાસતનું પણ કેન્દ્ર બનશે. આ મંદિર 15મી સદીના કવિ કૃતિવાસ ઓઝાની રામાયણથી પ્રેરિત 'બંગાળી રામ' થીમ પર આધારિત હશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 19 Jan 2026 03:20 PM (IST)Updated: Mon 19 Jan 2026 03:20 PM (IST)
grand-ram-temple-will-be-built-in-west-bengal-know-cost-and-features-676582

Ram Temple In Bengal: પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના શાંતિપુરમાં રામ મંદિર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ભવ્ય મંદિર 15 વીઘા જમીન પર આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે અને તેને વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટ્રસ્ટના સભ્યો દ્વારા જમીન માપણીનો અંતિમ સર્વે કરવામાં આવ્યો હતો.

'બંગાળી રામ' અને કૃતિવાસ ઓઝાની પરંપરા
આ મંદિર માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહિ, પરંતુ બંગાળની વિરાસતનું પણ કેન્દ્ર બનશે. આ મંદિર 15મી સદીના કવિ કૃતિવાસ ઓઝાની રામાયણથી પ્રેરિત 'બંગાળી રામ' થીમ પર આધારિત હશે. કૃતિવાસ ઓઝાએ સંસ્કૃત રામાયણનો બંગાળી અનુવાદ 'શ્રીરામ પાંચાલી' કર્યો હતો. આ પુસ્તક આજે પણ બંગાળી ઘરોમાં ચોક્કસમાં પઠન કરવામાં આવે છે. આ મંદિરનો હેતુ કવિ કૃતિવાસ ઓઝાની વિરાસતને જાળવી રાખવાનો છે.

ટ્રસ્ટ અને નેતૃત્વની વિગતો
આ મંદિરનું નિર્માણ 'શ્રી કૃતિવાસ રામ મંદિર ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવશે, જે એક રજિસ્ટર્ડ ધાર્મિક અને લોકકલ્યાણકારી સંસ્થા છે. ટ્રસ્ટ 2017 થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ટ્રસ્ટના અધ્યક્ષ અને શાંતિપુરના પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે આ ચૂંટણીલક્ષી પ્રોજેક્ટ નથી, પરંતુ બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલી એક ધાર્મિક પહેલ છે.

મંદિર માટે જમીનનું દાન
મંદિર નિર્માણ માટે સ્થાનિક રહેવાસીઓ લિતન ભટ્ટાચાર્ય અને પૂજા બેનર્જીએ 15 વીઘા જમીન દાનમાં આપી છે. નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર સાથે જોડાયેલા વૈદિક વિદ્વાન અર્જુન દાસતૂલાની મંદિરના સત્તાવાર સંરક્ષક તરીકે વરણી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં માત્ર મંદિર જ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક કેન્દ્ર, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને એક સંશોધન કેન્દ્ર સ્થાપવાની પણ યોજના છે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ
શાંતિપુર એ હુગલી નદીના કિનારે આવેલું ઐતિહાસિક નગર છે, જે ચૈતન્ય મહાપ્રભુની પરંપરા, ભક્તિ આંદોલન અને કીર્તન સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ટ્રસ્ટનું કહેવું છે કે ભલે રાજ્યમાં રાજકીય માહોલ ગરમ હોય, પરંતુ આ પ્રોજેક્ટનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી અને તે વારસા અને સંસ્કૃતિનો પ્રોજેક્ટ છે.