Loading...

Gujarat Somnath Temple: સોમનાથ મંદિરની મુલાકાત લેવા માંગો છો? જાણો કેવી રીતે પહોંચવું, ક્યાં રોકાવું અને કેટલો થશે ખર્ચ

સોમનાથ મંદિર મહમદ ગઝનવીના આક્રમણથી લઈને મંદિરની 1000 વર્ષ જૂની ગૌરવગાથાને જીવંત કરે છે. જો તમે પણ અહીં મુલાકાતે આવવાનું વિચારી રહ્યા છો તો જાણો કેવી રીતે પહોંચવું

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sun 11 Jan 2026 12:25 PM (IST)Updated: Sun 11 Jan 2026 12:25 PM (IST)
somnath-swabhiman-parv-how-to-reach-gujarat-somnath-temple-know-the-full-trip-plan-in-budget-672105

Gujarat Somnath Temple Travel Plan: ગુજરાતનું પ્રસિદ્ધ સોમનાથ ધામ 1000 વર્ષ જૂની ભવ્ય ગાથા અને સનાતન ધર્મની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. સમુદ્ર કિનારે આવેલું આ પવિત્ર જ્યોતિર્લિંગ શ્રદ્ધા, ઇતિહાસ અને ગૌરવનું કેન્દ્ર છે. જે મહમદ ગઝનવીના આક્રમણથી લઈને મંદિરના વારંવાર થયેલા પુનઃનિર્માણની 1000 વર્ષ જૂની ગૌરવગાથાને જીવંત કરે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં ભોલેનાથના દર્શન કરવા આવે છે. જો તમે પણ અહીં મુલાકાતે આવવાનું વિચારી રહ્યા છો તો જાણો કેવી રીતે પહોંચવું, ક્યાં રોકાવું અને કેટલો થશે ખર્ચ

ટ્રેન દ્વારા કેવી રીતે પહોંચવું

સોમનાથ પહોંચવા માટે સૌથી નજીકના રેલ્વે સ્ટેશન સોમનાથ અને વેરાવળ છે. સોમનાથ રેલ્વે સ્ટેશન મંદિરથી માત્ર 1.4 થી 2.6 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે વેરાવળ સ્ટેશન મંદિરથી આશરે 5 થી 7 કિલોમીટર દૂર છે. અમદાવાદ, મુંબઈ, રાજકોટ અને અન્ય મોટા શહેરોથી વેરાવળ માટે નિયમિત ટ્રેનો ચાલે છે. સ્ટેશનથી મંદિર સુધી પહોંચવા માટે ઓટો, ટેક્સી કે સ્થાનિક રિક્ષા સરળતાથી મળી રહે છે.

બસ અને સડક માર્ગે કેવી રીતે પહોંચવું

જો તમે સડક માર્ગે આવવા માંગતા હોવ તો ગુજરાત રાજ્ય પરિવહન (ST) ની બસો અને ખાનગી બસો અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ જેવા શહેરોથી સીધી સોમનાથ કે વેરાવળ સુધી ઉપલબ્ધ છે. સડક માર્ગે મુસાફરી આરામદાયક રહે છે અને તેનું ભાડું પણ ઘણું ઓછું હોય છે. બસ સ્ટેન્ડથી મંદિરનું અંતર ઓછું હોવાથી ત્યાંથી પણ સ્થાનિક વાહનો સરળતાથી મળી જાય છે.

રોકાવા માટે સસ્તા અને સારા વિકલ્પો

સોમનાથમાં રોકાવા માટે મંદિરની આસપાસ ધર્મશાળા, ભક્ત નિવાસ અને નાના ગેસ્ટ હાઉસ સૌથી ઉત્તમ અને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ છે. અહીં 200 થી 500 રૂપિયામાં સાધારણ રૂમ મળી શકે છે. વેરાવળ વિસ્તારમાં પણ બજેટ લોજ અને સસ્તી હોટેલ્સ ઉપલબ્ધ છે, જ્યાં 500 થી 800 રૂપિયામાં રોકાઈ શકાય છે. આ ઉપરાંત સમુદ્ર કિનારે સારી ખાનગી હોટેલ્સ અને રિસોર્ટ પણ છે, જેનું એક રાતનું ભાડું 2000 થી 5000 રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે.

દર્શનઅને આરતીનો સમય

સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દર્શન કરી શકે છે. મંદિરની વિશેષ આરતીઓના સમયની વાત કરીએ તો સવારની મંગળા આરતી આશરે 7 વાગ્યે, બપોરની આરતી 12 વાગ્યે અને સાંજની આરતી રાત્રે 7 વાગ્યે સંપન્ન થાય છે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો

રાત્રિના સમયે સોમનાથ મંદિરના પરિસરમાં એક ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે. આ શો દ્વારા સોમનાથના સમૃદ્ધ ઇતિહાસ અને ગૌરવશાળી વારસાને સુંદર રીતે રજૂ કરવામાં આવે છે, જે પ્રવાસીઓ માટે એક ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. સોમનાથની આ યાત્રાને તમે 1 થી 2 દિવસમાં ખૂબ જ આરામદાયક, આધ્યાત્મિક અને ઓછા ખર્ચમાં પૂર્ણ કરી શકો છો.