Top Beaches To Explore in Gujarat in 2026: ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય પ્રવાસીઓ માટે અનેક સુંદર બીચ ઓફર કરે છે. દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા આ દરિયાકિનારાઓ પોતાની આગવી વિશેષતા માટે જાણીતા છે.
તિથલ બીચ, વલસાડ
વલસાડ શહેરથી માત્ર 4 કિમી દૂર આવેલો તિથલ બીચ તેની કાળી રેતી માટે પ્રખ્યાત છે. અહીં પ્રકૃતિની સાથે આધ્યાત્મિકતાનો પણ સંગમ જોવા મળે છે. બીચની ઉત્તરે સ્વામિનારાયણ મંદિર અને દક્ષિણે સાંઈ બાબાનું મંદિર આવેલું છે. વલસાડ રેલ્વે સ્ટેશનથી નજીક હોવાથી અહીં પહોંચવું ખૂબ જ સરળ છે. ફેમિલી પિકનિક કે પત્ની સાથે સાંજ પસાર કરવા માટે અહીં પૂરતી ખાણી-પીણી અને બેસવાની સુવિધા છે
શિવરાજપુર બીચ, દ્વારકા
દ્વારકાથી 12 કિમી દૂર આવેલો આ બીચ હાલમાં પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. આ બીચને પ્રતિષ્ઠિત 'બ્લુ ફ્લેગ'માન્યતા મળેલી છે. અહીંનું પાણી કાચ જેવું ચોખ્ખું છે, જ્યાં તમે સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ અને ડોલ્ફિન સાઇટિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.
માધવપુર બીચ, પોરબંદર
સૌરાષ્ટ્રના સૌથી શાંત દરિયાકિનારામાં માધવપુરની ગણના થાય છે. પોરબંદરથી સોમનાથ જતાં હાઈવે પર આવેલો આ બીચ નાળિયેરીના વૃક્ષો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. શાંત વાતાવરણને કારણે તે ફેમિલી પિકનિક માટે શ્રેષ્ઠ સ્થળ ગણાય છે.નાળિયેરીના ઝાડ અને અરબી સમુદ્રની લહેરો તેને અત્યંત રોમાંન્ટિક બનાવે છે. જો તમે શહેરના ઘોંઘાટથી દૂર શાંતિ શોધતા હોવ, તો માધવપુરથી શ્રેષ્ઠ બીજી કોઈ જગ્યા નથી.
માંડવી બીચ, કચ્છ
કચ્છના દક્ષિણ છેડે આવેલો માંડવી બીચ તેની સોનેરી રેતી અને પવનચક્કીઓ માટે પ્રખ્યાત છે. અહીંનો સૂર્યાસ્ત જોવો એ એક લ્હાવો છે. માંડવી બીચ પાસે આવેલો વિજય વિલાસ પેલેસ પણ જોવાલાયક છે. જૂન મહિનામાં દરિયાના ઠંડા પવન વચ્ચે અહીં ઊંટ સવારી કે ઘોડા સવારી કરવાનો અલગ જ મજા છે. શાંત અને વિશાળ દરિયાકિનારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે તેવો છે.
ડુમસ બીચ, સુરત
સુરતની નજીક આવેલો ડુમસ બીચ પણ તેની કાળી રેતી અને સુંદર દ્રશ્યો માટે પ્રખ્યાત છે. તે શહેરથી ખૂબ જ નજીક હોવાથી સ્થાનિક લોકો અને પર્યટકોની અહીં સતત અવરજવર રહે છે. સુરત એરપોર્ટથી તે માત્ર 12 મિનિટના અંતરે છે.સાંજની લટાર મારવા માટે આ બંને સ્થળો ઉત્તમ છે.
ભવાની બીચ, મહુવા
મહુવાથી 5 કિમી દૂર આવેલો આ બીચ કુદરતી સૌંદર્ય અને લીલોતરીથી ભરપૂર છે. અહીં પ્રાચીન ભવાની માતાનું મંદિર આવેલું છે. પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર અહીં રિસોર્ટ, ટેન્ટ સિટી અને કેફેટેરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવી રહી છે.
ચોરવાડ બીચ
આ બીચ ઇતિહાસ અને સ્થાપત્યનો અદભૂત સંગમ છે. અહીં જૂનાગઢના નવાબનો 1930માં બનેલો 'દરિયા મહેલ'આવેલો છે, જે ઇટાલિયન અને મુસ્લિમ શૈલીનું મિશ્રણ છે. જોકે આ સમુદ્ર પથરાળ હોવાથી તરવા માટે જોખમી છે, પરંતુ નૌકાવિહાર અને શાંતિ માટે તે શ્રેષ્ઠ સ્થળ છે.
પરિવહન સુવિધા
ગુજરાતના આ તમામ બીચ રોડ, રેલ્વે અને હવાઈ માર્ગે સારી રીતે જોડાયેલા છે. સુરત, જામનગર અને પોરબંદર એરપોર્ટ નજીકના સ્થળો માટે ઉત્તમ સુવિધા પૂરી પાડે છે, જ્યારે વલસાડ, સુરત અને દ્વારકા જેવા મુખ્ય રેલ્વે સ્ટેશનો આ સ્થળોની મુલાકાત સરળ બનાવે છે. જો તમે રજાઓમાં કુદરતના સાનિધ્યમાં શાંતિ અને સાહસ શોધી રહ્યા હોવ, તો ગુજરાતના આ દરિયાકિનારાઓની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.
