Dr. B.R. Ambedkar: ભારતીય બંધારણના ઘડવૈયા અને જ્ઞાનના પ્રતીક એવા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની શૈક્ષણિક સિદ્ધિઓ આજે પણ વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. એક અસ્પૃશ્ય ગણાતા પરિવારમાં જન્મીને અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેમણે વિશ્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી હતી. બાબા સાહેબ પાસે કુલ 8 જેટલી અત્યંત ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓ હતી, જે મેળવવી એ કોઈ ચમત્કારથી કમ નહોતું.
શિક્ષણની શરૂઆત અને મુંબઈ યુનિવર્સિટી
બાબા સાહેબના શિક્ષણની સફર ભારતથી શરૂ થઈ હતી. તેમણે 1912માં મુંબઈ યુનિવર્સિટીમાંથી B.A. ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમના મુખ્ય વિષયો અર્થશાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્ર હતા. આ પદવી મેળવ્યા બાદ તેઓ ગાયકવાડ મહારાજની શિષ્યવૃત્તિ પર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.
અમેરિકા અને બ્રિટનનો શૈક્ષણિક પ્રવાસ
- 1) M.A. (અર્થશાસ્ત્ર): ૧૯૧૫માં અમેરિકાની પ્રતિષ્ઠિત કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ. પૂર્ણ કર્યું.
- 2) PH.D. (અર્થશાસ્ત્ર): ૧૯૨૭માં ફરી કોલંબિયા યુનિવર્સિટીમાંથી જ તેમણે પીએચ.ડી. ની પદવી મેળવી.
- 3) M.SC. (અર્થશાસ્ત્ર): ૧૯૨૧માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) માંથી એમ.એસસી. પૂર્ણ કર્યું.
- 4) D.SC. (ડોક્ટર ઓફ સાયન્સ): ૧૯૨૩માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી જ અર્થશાસ્ત્રમાં ડી.એસસી. ની દુર્લભ પદવી મેળવી.
- 5) બેરિસ્ટર એટ લો: ૧૯૨૦માં લંડનની ગ્રેઝ ઈન (GRAY'S INN) માંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ બેરિસ્ટર બન્યા.
માનદ પદવીઓ અને સન્માન
તેમના અસાધારણ સામાજિક અને કાયદાકીય કાર્યોના સન્માનમાં તેમને પાછળથી બે મોટી માનદ પદવીઓ આપવામાં આવી હતી:
- LL.D. (Doctor of Laws): ૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટી દ્વારા.
- D.LITT.: ૧૯૫૩માં હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી દ્વારા.
બાબા સાહેબ માનતા હતા કે 'શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે.' તેમની આ ડિગ્રીઓ માત્ર કાગળના ટુકડા નહોતા, પરંતુ સામાજિક પરિવર્તન માટેનું એક સશક્ત હથિયાર હતું.
