Somnath Swabhiman Parva: ભગવાન શિવનું પંચમુખી સ્વરૂપ પાંચ દિશા અને પંચતત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ પંચમુખી સ્વરૂપમાંનું એક 'અઘોર' રૂપ સ્મશાનમાં વાસ કરનાર 'અઘોરી', અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે.
સોમનાથમાં 'અઘોરી' બેન્ડનું પરફોર્મન્સ
'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં ભોળાનાથના સ્વરૂપ પરથી જ રચાયેલા 'અઘોરી' બેન્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ રૉક-જાઝ ફ્યૂઝન પ્રસ્તુતિઓ રજૂ કરી નટરાજની સંગીતસભર આરાધના કરવામાં આવી હતી.

રૉક-જાઝ ફ્યૂઝન પ્રસ્તુતિઓ રજૂ કરી
'અઘોરી' બેન્ડ દ્વારા 'ડમ ડમ ડમ ડમરુ બાજે ભોલે કા....', 'શિવતાંડવ સ્ત્રોત', 'ખોડલના ખમકારે....', 'રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જોવ.....', 'દ્વારકાનો નાથ રાજા રણછોડ...', 'સાયબો રે ગોવાળિયો....', 'ધડ રે ધીંગાણે જેના....', 'નગર મે જોગી આયા....' સહિતની રૉક-જાઝ ફ્યૂઝન પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.
ચારણી સાહિત્યની રમઝટ, પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા
શિવ સહિત અઘોરી બેન્ડે કૃષ્ણ, જગદંબા, ગણપતિ, નાગબાઈ અને સોમનાથની રક્ષા કાજે સૌરાષ્ટ્રની ભૂમિ પર પાળિયા થઈ પૂજાતા શૂરવીરોના દુહા-છંદ અને ચારણી સાહિત્યની રમઝટ બોલાવી હતી. 'અઘોરી' બૅન્ડની વીરરસ-શોર્યસભર રૉક-જાઝ ફ્યૂઝન પ્રસ્તુતિઓ પર પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા.
